નાણા મંત્રાલય
ડિજીટલ અર્થતંત્રને અંદાજપત્રમાં મોટું પ્રોત્સાહન
રૂપિયા 3 લાખ ઉપરના કોઈ વ્યવહારો રોકડમાં નહીં થઈ શકે
ભીમ એપ અને આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન પુરું પાડવા સરકાર દ્વારા શરૂ થનારી વિવિધ યોજનાઓ
2017-18માં રૂપિયા 2500 કરોડના ડિજીટલ વ્યવહારોનો લક્ષ્યાંક સિદ્ધ કરવાના થનારી મિશનની સ્થાપના
ડિજીટલ અર્થતંત્રને સુદ્રઢ કરવા અને એના નિયમન માટે અંદાજપત્રમાં શ્રેણીબંધ પગલાં
Posted On:
01 FEB 2017 5:53PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-2-2017
ડિજીટલ અર્થતંત્રને આગળ ધપાવવા અને ભ્રષ્ટાચાર તથા કાળા નાણાંની નાબૂદી માટેના એક પ્રયાસ રૂપે સરકારે એવો નિર્ણય કર્યો છે કે હવે રૂપિયા 3 લાખથી વધુ રકમના કોઈપણ વ્યવહારો રોકડમાં થઈ શકશે નહિં. આજે સંસદમાં સામાન્ય અંદાજપત્ર રજૂ કરતાં નાણાં મંત્રી શ્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે રૂપિયા 3 લાખ ઉપરાંતના રોકડ વ્યવહારો ઉપર પ્રતિબંધ મૂકવા કાળા નાણાં અંગેની ખાસ તપાસ સમિતિએ કરેલા સૂચનનો સરકારે સ્વીકાર કર્યો છે અને આ માટે નાણાં વિધેયકમાં આવકવેરાના ધારામાં સુધારો કરવામાં આવશે.
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ભીમ એપના ઉપયોગને પ્રોત્સાહન પુરું પાડવા બે નવી યોજનાઓ શરૂ કરશે. જેમાં વ્યક્તિઓ માટેની રેફરલ બોનસ યોજના અને વ્યાપારીઓ માટેની કેશબેક યોજનાનો સમાવેશ થાય છે. ભીમ એપની યોજના ડિજીટલ વ્યવહારોને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી છે અને એના દ્વારા ડિજીટલ ચૂકવણી તથા નાણાંકીય સર્વ સમાવેશકતા સંબંધમાં મોબાઈલ ફોનની ક્ષમતા – શક્તિ છતી થશે. શ્રી જેટલીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં દેશમાં 125 લાખ લોકોએ ભીમ એપ અપનાવી છે.
નાણાં મંત્રીએ જાહેર કર્યું હતું કે આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સીસ્ટમના વ્યાપારી સ્વરૂપ જેવું આધાર પે ટૂંક સમયમાં શરૂ કરવાં આવશે. આધાર પેની યોજના ખાસ કરીને જે લોકો ડેબિટ કાર્ડ, મોબાઈલ વોલેટ અને મોબાઈલ ફોન નથી ધરાવતા તેમને લાભકારક બનશે. એમણે કહ્યું હતું કે 2017-18ના વર્ષમાં યુપીઆઈ, યુએસએસડી, આધાર પે, આઈએમપીએસ, અને ડેબિટ કાર્ડ મારફત રૂપિયા 2500 કરોડના ડિજીટલ વ્યવહારોનો લક્ષ્યાંક નજર સમક્ષ રાખવામાં આવ્યો છે અને એ સિદ્ધ કરવા માટે એક મિશનની રચના કરવામાં આવશે. બેંકોએ માર્ચ-2017 સુધીમાં વધારાના 10 લાખ નવા પીઓએસ ટર્મિનલ કાર્યાન્વિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. બેંકોને સપ્ટેમ્બર-2017 સુધીમાં 20 લાખ આધાર આધારીત પીઓએસ શરૂ કરવા પ્રોત્સાહન પુરું પાડવામાં આવશે.
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે ડિજીટલ વ્યવહારોને ઉત્તેજન પુરું પાડવા નાના અને મધ્યમ કરદાતાઓ જેમનું ટર્ન ઓવર રૂપિયા 2 કરોડ સુધીનું હશે એમને માટે રોકડ સિવાયના સાધનોમાંથી થયેલી ટર્ન ઓવર ઉપરનો 8 ટકાનો સંભવિત આવકવેરો ઘટાડીને 6 ટકા કરવામાં આવશે. આ લાભ ચાલુ વર્ષના વ્યવહારોના સંબંધમાં પણ મળશે.
નાણાં મંત્રીએ રેવન્યુ તેમજ કેપીટલ ખર્ચ સંબંધમાં રોકડમાંનો જે ખર્ચ કપાત તરીકે બાદ થાય છે એની મર્યાદા રૂપિયા 10,000 કરવાની દરખાસ્ત કરી છે. આજ પ્રમાણે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોકડમાં સ્વીકારવામાં આવતા દાનની મર્યાદા પણ રૂપિયા 10,000 થી ઘટાડીને રૂપિયા 2,000 કરવામાં આવી છે.
કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન પુરું પાડવા નાણાં મંત્રીએ અંદાજપત્રમાં એમપીઓએસ માટેના મીનીએચરાઈઝ્ડ પીઓએસ કાર્ડ રીડર, માઈક્રો એટીએમ સ્ટાન્ડર્ડ વર્ઝન 1.5.1, ફિંગર પ્રિન્ટ રીડર્સ/સ્કેનર્સ અને આઈરીસ સ્કેનર્સને બેઝીક કસ્ટમ ડ્યૂટી (બીસીડી)/એક્સાઈઝ/સ્પેશ્યલ એડીશ્નલ ડ્યૂટી (એસએડી)માંથી બાકાતી આપવાની દરખાસ્ત કરી છે. એમણે આવા સાધનોનું ઘર આંગણે મેન્યુફેક્ચરીંગ થાય તે માટે પ્રોત્સાહન પુરું પાડવા એમાં વપરાતા છૂટક ભાગોને પણ બીસીડી વગેરેમાંથી મુક્તિ આપવાની દરખાસ્ત કરી છે.
નાણાં મંત્રીએ ડિજીટલ અર્થતંત્રને સુદૃઢ કરવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં હાલમાં બોર્ડ ફોર રેગ્યુલેશન એન્ડ સુપરવિઝન ઓફ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ અમલમાં છે એના સ્થાને પેમેન્ટ્સ રેગ્યુલેટરી બોર્ડ રચવાની દરખાસ્ત કરી છે. આર્થિક બાબતોના વિભાગ દ્વારા ડિજીટલ ચૂકવણી અંગે રચાયેલી કમિટીએ ચૂકવણીને ઈકો સિસ્ટમમાં સુધારા કરવા તેમજ 2007ના ચૂકવણી અને પતાવટની સીસ્ટમના કાયદામાં સુધારો કરવાની ભલામણ કરી છે. સરકાર 2007ના આ કાયદાની સર્વગ્રાહી સમીક્ષા કરશે અને એમાં યોગ્ય સુધારા – વધારા કરશે.
ડિજીટલ ચૂકવણીનું આંતરમાળખું અને ફરીયાદોના નિવારણ માટેની વ્યવસ્થાને મજબૂત કરવા પોસ્ટ ઓફિસ, વાજબી ભાવની દુકાનો અને બેંકોના સંવાદદાતાઓ મારફત ગ્રામિણ અને અર્ધ શહેરી વિસ્તારો ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એમણે જણાવ્યું હતું કે પેટ્રોલ પંપ, રાસાયણિક ખાતરના ડેપો, મ્યુનિસિપાલિટી, બ્લોક ઓફિસો, માર્ગ, વાહન વ્યવહારની ઓફિસો, યુનિવર્સિટી, કોલેજો અને હોસ્પિટલો અને અન્ય જે સંસ્થાઓમાં ડિજીટલ ચૂકવણી માટેની ભીમ એપ સહિતની સગવડો હોય એમાં સુધારા વધારા કરવામાં આવશે. ચોક્કસ મર્યાદા ઉપરની સરકારની તમામ આવકો માટે ડિજીટલ ચૂકવણી દ્વારા નાણાં લેવાય એ માટેની દરખાસ્ત વિચારણા હેઠળ છે. આ વિવિધ પહેલને અમલી બનાવવા માટે સરકાર નાણાકીય સર્વ સમાવેશકતા ફંડને માટે વધુ સાધનો ઉભા કરવા એને વધુ સુદ્રઢ કરશે.
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે ડિજીટલ વ્યવહારોમાં વધારો થતાં નાના અને માઈક્રો ઉદ્યોગ સાહસો વિધિસરના સાધનોમાંથી ધિરાણ મેળવી શકશે. એમણે કહ્યું હતું કે સરકાર ‘સીડબી’ને લેણદારોને એમના વ્યવહારોના આધારે વાજબી વ્યાજદરે જામીનગીરી વગરની લોન પૂરી પાડતી ધિરાણ સંસ્થાઓને નાણાં પૂરતી કરવા ઉત્તેજન પૂરું પાડશે.
નાણાં મંત્રીએ ગૃહને એવી ખાતરી આપી હતી કે ડિજીટલ વ્યવહારો અંગે મુખ્યમંત્રીઓની સમિતિએ કરેલી વચગાળાની ભલામણોનો વહેલી તકે અમલ કરવા માટે વિચારણા કરશે અને સંબંધિત પાર્ટીઓ જાતે સહકારથી કામ કરશે. એમણે કહ્યું હતું કે બેંકમાંથી પરત ફરેલા ચેકના કિસ્સામાં નાણાં મેળવવા હક્કદાર પાર્ટી નાણાં મેળવી શકે એ સુનિશ્ચિત કરવા નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટમાં સુધારા કરવા સરકાર વિચારી રહી છે.
AP/J.Khunt/GP ક્રમાંકઃ 71
(Release ID: 1481540)