પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીનાં મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રનો વિદાય સમારંભ

Posted On: 09 SEP 2019 8:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 7, લોક કલ્યાણ માર્ગ પર આયોજિત એક સમારંભમાં પોતાનાં મુખ્ય સચિવ શ્રી નૃપેન્દ્ર મિશ્રને વિદાય આપી હતી. આ સમારંભમાં વિવિધ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ સરકારી અધિકારીઓ ઉપસ્થિત હતાં.

શ્રી મિશ્રને અમૂલ્ય ખજાનો ગણાવીને પ્રધાનમંત્રીએ એમની સાથે છેલ્લાં પાંચ વર્ષની સફરને યાદ કરી હતી. તેમણે મુખ્ય સચિવની મહેનતુ પ્રકૃતિ, કાર્ય પ્રત્યે સમર્પણની ભાવના અને એક સિવિલ સેવક સ્વરૂપે એમની અનુકરણીય કારકિર્દીની પ્રશંસા કરી હતી. તેમણે અનેક ઉદાહરણો રજૂ કર્યા હતાં, જેમાં શ્રી મિશ્રએ પોતાનાં બહોળા અનુભવને પ્રદર્શિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રી મિશ્ર એક સક્ષમ અને અનુભવી અધિકારી છે, જે સંઘર્ષનાં સમાધાનમાં માહેર છે. ભવિષ્ય માટે ઘણી શુભકામનાઓ આપીને પ્રધાનમંત્રીએ ભારતમાં વહીવટી યોગદાનમાં બહોળું પ્રદાન કરવા બદલ મુખ્ય સચિવનો આભાર માન્યો હતો.

મુખ્ય સચિવે ન્યૂ ઇન્ડિયા બનાવવાનાં સ્વપ્નની દિશામાં કામ કરવાની તક આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે પ્રધાનમંત્રીની લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરનારી, ટેકનોલોજીનાં પ્રેમી અને માનવીય દૃષ્ટિકોણ ધરાવતી વ્યક્તિ તરીકે પ્રશંસા કરી હતી. તેમણે સંપૂર્ણ સરકારી વહીવટી તંત્રને આગ્રહપૂર્વક ન્યૂ ઇન્ડિયાનાં પ્રધાનમંત્રીનાં સ્વપ્નને સાકાર કરવા માટે કામ કરવા જણાવ્યું હતું.

 

RP


(Release ID: 1584665)