વહાણવટા મંત્રાલય
કંડલા બંદરે 650 કરોડના ખર્ચે બનનાર સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સીટીનું ખાતમુહૂર્ત
કંડલામાં ફર્નિચર પાર્ક, ખાદ્ય તેલ, સોલ્ટ બેઝ તેમ જ એન્જિનિયરીંગ અને ફેબ્રિકેશન ઇન્ડસ્ટ્રીઝને લગતા ઉદ્યોગો વિકસાવવાનું આયોજન છે: શ્રી મનસુખભાઇ માંડવિયા
Posted On:
05 OCT 2019 5:58PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા અમલમાં મુકાયેલ સાગરમાલા પ્રોજેકટને સાકાર કરવાની દિશામાં કેન્દ્રીય શિપિંગ મંત્રાલય કાર્ય કરી રહ્યું છે, કેન્દ્રીય શિપિંગ રાજ્યમંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કંડલા ખાતે પીઆઇબી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, માત્ર બંદરનો નહીં પણ બંદર આધારિત ઉદ્યોગો સ્થાપી સંપૂર્ણ વિકાસ થાય તેવા સરકારના પ્રયત્નો છે.

આજે કંડલામાં દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ ખાતે ફર્નિચર પાર્ક વિશે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા સમગ્ર દેશમાંથી ટીમ્બર ઉદ્યોગ સાથે જોડાયેલા આશરે 250થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ સેમિનારને સંબોધન કરતા શિપિંગ મંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયાએ દેશભરના ટીમ્બર ઉદ્યોગના અગ્રણી વેપારીઓને કેન્દ્ર સરકાર વતી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “કંડલા બંદરની લગોલગ વિકસાવવામાં આવનાર સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સીટી (SIPC)માં ફર્નીચર પાર્ક ઉપરાંત ખાદ્ય તેલ, એન્જિનિયરીંગ અને ફેબ્રિકેશન ઉપરાંત મીઠા (salt) આધારિત ઉદ્યોગો તૈયાર થશે. હાલના તબક્કે ઈમામી ગ્રૂપ દ્વારા ખાદ્ય તેલનું એકમ શરૂ કરવાની કામગીરી થઈ રહી છે. ઉદ્યોગકારો માટે SIPCમાં અન્ય માળખાગત સુવિધાઓમાં ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા દરિયાનું પાણી મીઠું કરવાનું તથા રેલવેનું નેટવર્ક પણ અહિં સુધી લંબાવવામાં આવશે. દીનદયાળ પોર્ટ કંડલા દ્વારા આ ફર્નિચર પાર્ક વૈશ્વિક સ્તરે વિકસાવવાનું આયોજન છે. આ ફર્નિચર પાર્કની ડિઝાઇન માટે પણ ગ્લોબલ ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. જેનું સંપૂર્ણ પ્લાનિંગ પણ આયોજનબદ્ધ રીતે થઇ રહ્યું છે.”

કંડલા પોર્ટની લગોલગ જ 850 એકર જમીનમાં ફર્નિચર પાર્ક બનાવવામાં આવશે. આ અંગે દિનદયાળ પોર્ટના ચેરમેન એસ. કે. મેહતાએ પીઆઈબી સાથે વાત કરતા માહિતી આપી હતી કે, “અહિં રેલવે, રોડ કનેટક્ટીવિટી સાથે પાર્કની અંદર પણ સંપૂર્ણ માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવશે. ત્રણ તબક્કામાં આ ફર્નિચર પાર્કનું કામ હાથ ધરાયું છે. જે પૈકી પ્રથમ તબક્કામાં જમીન લેવલિંગનું કામ પૂરું થઈ ગયું છે. અહિં એકમ સ્થાપવા માટે જેમ-જેમ માગ આવતી જશે તેમ-તેમ કામ આગળ વધતું જશે. આવનારા બે થી ત્રણ વર્ષમાં ફર્નિચર પાર્કમાં એકમો કાર્યરત થઈ જાય એ રીતે અમે આગળ વધી રહ્યા છીએ.”
કંડલા ટીમ્બર એસોસિએશન માને છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્નું સાકાર કરવાનું સામર્થ્ય ભારતીય ઉધોગપતિઓમાં છે. કંડલાને 2005માં આયાત માટે મુક્ત ટીમ્બર ઝોન જાહેર કરાયા બાદ અહિં બે હજાર જેટલા ટીમ્બરના નાના-મોટા એકમો કાર્યરત થયા છે અને હવે જ્યારે અહિં ફર્નિચર પાર્ક વિકસશે તો મેક ઇન ઇન્ડિયાનું ફર્નિચર દુનિયાભરમાં ડંકો વગાડશે.
NP/RP
(Release ID: 1587318)