નાણા મંત્રાલય
ડીજીજીઆઈ, રાજકોટે ગુજરાતનાં મોરબીમાં ઇ-વે બિલો અને ટેક્સ ઇનવોઇસ વિના ટાઇલ્સનાં વેચાણનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો
Posted On:
23 NOV 2019 5:25PM by PIB Ahmedabad
ગુજરાતનાં મોરબીમાં થોડા ટાઇલ્સ ઉત્પાદક એકમો એક વેપારી સાથે મળીને ગુપ્ત રીતે ઇનવોઇસ વિના અને ઇ-વે બિલો જનરેટ કર્યા વિના પણ પ્રીમિયમ ગ્રેડની ઉત્પાદિત ટાઇલ્સનું વેચાણ કરી રહ્યાં હતા, જેનાં પરિણામે જીએસટીની ચોરી થઈ રહી છે એવી ચોક્કસ બાતમીને આધારે રાજકોટનાં ડીજીજીઆઈ પ્રાદેશિક એકમે 20.11.2019નાં રોજ પ્રીમિયમ ગ્રેડની બનેલી ટાઇલ્સ લઈ જતી સાત ટ્રકોને આંતરી હતી. આ ટ્રકોમાં રહેલી પ્રીમિયમ ગ્રેડની ટાઇલ્સ માટેનું કોઈ ઇ-વે બિલો અને ઇનવોઇસ મળ્યાં નહોતા.
ટ્રકોની ચકાસણી કરતાં એવી જાણકારી મળી હતી કે, ટ્રક ડ્રાઇવરો પાસે વેપારીઓનાં સહી કર્યા વિનાના ઇનવોઇસ હતાં, જેમાં ટાઇલ્સને કમર્શિયલ ગ્રેડની દેખાડવામાં આવી હતી. જોકે હકીકતમાં ટાઇલ્સ પ્રીમિયમ ગ્રેડની હતી અને સહી કર્યા વિનાનાં ઇનવોઇસમાં ઉલ્લેખિત પ્રમાણ અને ટ્રકમાં રહેલા જથ્થામાં ફરક હતો. આ કારણસર ડીજીજીઆઈ રાજકોટ ક્ષેત્રીય એકમે પ્રક્રિયાને અનુરૂપ આ પ્રીમિયમ ગ્રેડ ટાઇલ્સનો જથ્થો જપ્ત કર્યો હતો અને વધારે તપાસ હાથ ધરી હતી.
વધારે તપાસમાં જાણકારી મળી હતી કે, ગુજરાતનાં મોરબીનાં એક વેપારીએ લાગુ જીએસટીની ચુકવણી કર્યા વિના ઉત્પાદકો દ્વારા નિર્મિત પ્રીમિયમ ગ્રેડની ટાઇલ્સનું ગુપ્ત રીતે પરિવહન કરવાની જવાબદારી લીધી હતી. આ વેપારીએ રજિસ્ટર્ડ સંકુલની જાહેરાત કરી હોવાની જાણકારી મળી હતી, પણ હકીકતમાં તે કોઈ ગુપ્ત જગ્યાએથી કામ કરતો હતો, જેની જાણકારી મળી હતી અને 21.11.19નાં રોજ એ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તપાસમાં પુષ્ટિ થઈ હતી કે, વેપારી છેલ્લાં થોડાં સમયથી કથિત રીતથી જીએસટીની ચોરી કરવાની સુવિધા આપવામાં સંકળાયેલો હતો અને અવારનવાર એનાં વ્યવસાયનું નામ અને જીએસટિન બદલતો હતો. અધિકારીઓએ ગુનાહિત પુરાવા જપ્ત કર્યા છે, જેમાં વધારે તપાસ માટે ઇલેક્ટ્રોનિક પુરાવા સામેલ છે. આ પુરાવામાં છેલ્લાં થોડાં મહિનામાં જીએસટીની ચુકવણી કર્યા વિના કેટલાંક ઉત્પાદકો દ્વારા ક્લીઅર થયેલા માલ-સામાનની વિગત હોવાની શંકા છે.
ઉપરાંત જે ટાઇલ્સ ઉત્પાદકોનાં સંકુલમાંથી ટ્રકો ભરાઈ હતી એ સાત સંકુલો પર 22.11.19નાં રોજ દરોડા પાડવામાં આવ્યાં હતાં તેમજ પ્રસ્તુત ડોક્યુમેન્ટ અને ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યાં હતાં. તમામ ઉત્પાદક એકમોનાં અધિકૃત વ્યક્તિઓએ તેમનાં નિવેદનોમાં લાગુ જીએસટીની ચૂકવણી કર્યા વિના તેમજ ઇનવોઇસ અને ઇ-વે બિલ વિના પ્રીમિયમ ગ્રેડની ઉત્પાદિત ટાઇલ્સનો ગુપ્ત રીતે નિકાલ કરવાનો એકરાર કર્યો છે.
પ્રાથમિક અંદાજ મુજબ, આ રીતે અંદાજે 1 કરોડથી વધારે જીએસટીની ચોરી થઈ છે અને તપાસ દરમિયાન અત્યાર સુધી સ્થળ પર રૂ. 42 લાખની વસૂલાત કરવામાં આવી છે. જોકે વેપારીઓનાં સંકુલોમાંથી એકવાર તમામ પુરાવા હાથ લાગ્યા પછી આ કેસમાં રૂ. 5 કરોડથી વધારે કરવેરાની ચોરી થઈ હોવાની અપેક્ષા છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.
DS/RP
(Release ID: 1593278)