મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનામાં ‘વિષય આધારિત’ પોષણ માહનું આયોજન
ગુજરાતમાં પોષણ માસની ઉજવણી માટે 4 સપ્તાહ દરમિયાન વિવિધ વિષયો પર આધારિત કાર્યક્રમોનું આયોજન
તમામ જિલ્લાઓના 11,000 આંગણવાડી કેન્દ્રોમાં ન્યુટ્રી ગાર્ડન બનાવવાનું આયોજન
સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓમાં સામુહિક યોગ દ્વારા જાગૃતિ કેળવાશે
Posted On:
02 SEP 2021 1:30PM by PIB Ahmedabad
પોષણ અભિયાન એ ભારત સરકારનો મુખ્ય કાર્યક્રમ છે જે બાળકો, કિશોરો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પોષણના પરિણામો સુધારવા માટે છે. પોષણ અભિયાન એક "જન આંદોલન" છે જેમાં સ્થાનિક સંસ્થાઓ, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના સરકારી વિભાગો, સામાજિક સંસ્થાઓ અને જાહેર અને ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. સમુદાયની ગતિવિધિને સુનિશ્ચિત કરવા અને લોકોની ભાગીદારી વધારવા માટે, દર વર્ષે સપ્ટેમ્બર મહિનો દેશભરમાં પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે.

આ વર્ષે, ભારત આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે એવામાં ઝડપી અને સઘન પહોંચ સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણ પોષણ સુધારવા તરફ કેન્દ્રિત અને સંકલિત અભિગમ માટે આખો મહિનો સાપ્તાહિક થીમ્સમાં વિભાજિત કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગથી સમગ્ર મહિના દરમિયાન અનેક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે.
ગુજરાતના મહિલા અને બાળ કમિશનર શ્રી કે. કે. નિરાલાએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને બાળકો કુપોષિત થતાં અટકે એ માટે રાષ્ટ્રવ્યાપી પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સપ્ટેમ્બર માસ ‘‘પોષણ માસ’’ તરીકે ઉજવાશે. સમગ્ર રાજ્યમાં આ માસના ચારે સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત સપ્ટેમ્બર 2021માં પોષણ માસની સાપ્તાહિક થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ અઠવાડિયા દરમિયાન પોષણ વાટિકા સંદર્ભે આંગણવાડી કેન્દ્રો, શાળાઓ, પંચાયત અને જાહેર સ્થળોએ વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન થશે. રાજ્યના 33 જિલ્લાની 11,000 આંગણવાડી કેન્દ્રોમાં જ્યાં કંપાઉન્ડ વોલ, પાણીની સુવિધા અને જમીન ઉપલબ્ધ છે તેવી જગ્યાઓમાં વન વિભાગ, બાગાયત વિભાગ તથા જનભાગીદારી દ્વારા 35 લાખથી વધુ રોપાઓનું વનીકરણ કરવામાં આવશે. આ માટે રાજ્યના વન વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપનીના સહયોગથી પોષણ માસ દરમિયાન મહત્તમ ન્યુટ્રી ગાર્ડનનું નિર્માણ કરવાનું વ્યાપક સ્તરે આયોજન કરવામાં આવ્યું છે.
સગર્ભા માતાઓ, બાળકો અને કિશોરીઓમાં પોષણ માટે જાગૃતિ આવે તે હેતુથી બીજા સપ્તાહમાં યોગ અને આયુષ વિભાગ દ્વારા સામૂહિક યોગના કાર્યક્રમો થકી કુપોષિત થતા અટકાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવશે.
ત્રીજા સપ્તાહમાં રાજ્યના અતિકુપોષિત જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓમાં ન્યુટ્રીશન કીટનું વિતરણ કરાશે. જ્યારે ચોથા સપ્તાહમાં વિવિધ જિલ્લાઓમાં અતિ કુપોષિત બાળકોને શોધીને ન્યુટ્રીશન ખોરાક પૂરો પાડવામાં આવશે.
પોષણ અંગે જાગૃતિ આવે એ હેતુથી સોશિયલ મીડિયા દ્વારા તથા વિવિધ કાર્યક્રમો દ્વારા લાભાર્થીઓને જાગૃત કરાશે. આ કાર્યક્રમો કોવિડ-19 માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન થાય એ રીતે યોજાશે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1751358)