ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

"ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા" અંતર્ગત "મિશન મિલિયન ટ્રી" અન્વયે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રીશ્રી અમિત શાહ


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના વિઝનને લીધે ભારત આજે "કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ" ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું હોવાનું જણાવતાં શ્રી અમિત શાહ

લોકસભાના પ્રત્યેક નાગરિકોને વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા એક વૃક્ષ વાવી તેનું જતન કરવા સંકલ્પ કરવાની હિમાયત કરતા શ્રી અમિત શાહ

પ્રકૃતિનું દોહન થાય પણ શોષણ ન થાય, પ્રકૃતિનું જતન એ પૃથ્વીના જતનનો એક માત્ર ઉપાય છે. - શ્રી અમિત શાહ

પોતે જ્યારે ગુજરાતમાં મંત્રી હતા ત્યારથી જ લાંબા આયુષ્ય ધરાવતા વૃક્ષોનું વાવેતર થાય તેની તકેદારી લીધી હોવાનું જણાવતા શ્રી અમિત શાહ

Posted On: 02 JUL 2022 5:26PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે એએમસીના "મિશન મિલિયન ટ્રી" અન્વયે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

શ્રી અમિત શાહે કહ્યું હતું કે આ કાર્યક્રમ નાનો પણ ખૂબ મહત્વનો છે, છેલ્લા ત્રણ વર્ષમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રને હરિયાળું બનાવવા અનેકવિધ પહેલ કરવામાં આવી છે. તેઓએ ઘનિષ્ઠ વૃક્ષારોપણ માટે ધારાસભ્યશ્રીઓ, ચુંટાયેલા જિલ્લા/ તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચશ્રીઓ તથા નગરસેવકોને વૃક્ષો ક્યાંથી મળશે તે અંગે પત્ર પાઠવ્યાનું જણાવ્યું હતું.

શ્રી શાહે જણાવ્યું હતું કે કે કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં  4.22 કરોડ જેટલા વૃક્ષો પેરા મિલિટરીના પરેડ ગ્રાઉન્ડ અને કેમ્પસમાં વાવવામાં આવ્યા હતા જે પૈકી આજે 4.12 કરોડ વૃક્ષો ખૂબ સરસ ઉછર્યા છે. તેઓએ હિમાયત કરી હતી કે પ્રત્યેક નાગરિકોએ તેની આસપાસ વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવી તેનું જતન કરવા સંકલ્પ કરવો જોઈએ.

શ્રી શાહે ઉમેર્યું હતું કે આપણે જેટલું પ્રદૂષણ કરીએ છીએ તે પ્રમાણમાં કુદરતને પાછું ચૂકવવું પણ જોઈએ તો જ આપણે દેવું ભરપાઈ કરી શકીશું. વેદો અને ઉપનિષદોમાં પણ ઈશ્વરની કલ્પના પ્રકૃતિથી કરવામાં આવી છે. પ્રકૃતિનું દોહન થાય પણ શોષણ ન થાય, પ્રકૃતિનું જતન એ પૃથ્વીના જતનનો એક માત્ર ઉપાય છે.

શ્રી શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના વિઝનને લીધે ભારત આજે કલાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. ભારતમાં સોલાર એલાયન્સ અને ક્લીન એનર્જીના વપરાશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ફ્રાન્સમાં આખી સમિટ તૂટી પડે તેમ હતી ત્યારે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નોને કારણે પશ્ચિમના દેશોને સમજાવવામાં આપણે સફળ થયા અને તે સમિટ પુનઃજીવિત થઈ. વધતા પ્રદૂષણ અને કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોકસાઇડના કારણે અવકાશમાં ઓઝોનનું સ્તર પાતળું થયું છે અને મોટા છિદ્રો નિર્મિત થયા છે આ ઓઝોન સ્તર જ સૂર્યની ગરમીની તીવ્રતાને ઘટાડે છે આ સ્તર જો નબળું પડે તો પૃથ્વી જીવવા લાયક ન રહે આજે તેના કારણે જ તાપમાન વધી રહ્યું છે.

શ્રી શાહે ભાર આપતા કહ્યું કે કાર્બન ડાયોક્સાઈડની અસર ઘટાડવા, જમીનનું ધોવાણ અટકાવવા, નદીના સંરક્ષણ માટે, વન્ય જીવો, પક્ષીઓની પ્રજાતિ બચાવવા, નિરોગી રહેવા વૃક્ષારોપણ એક માત્ર ઉપાય છે. કોરોના કાળમાં ઓક્સિજનની કિંમત આપણને સમજાઈ છે એટલે જ તેને પ્રાણવાયુ કહે છે. વિશ્વમાં પ્રદૂષણ નિયંત્રણ માટે અનેકવિધ પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ તે પૂરતા નથી પ્રાણવાયુની માત્રા વૃક્ષોથી જ જળવાઈ શકશે.

શ્રી શાહે કહ્યું કે તેઓ જ્યારે ગુજરાતમાં મંત્રી હતા ત્યારથી જ લાંબા આયુષ્ય ધરાવતા વૃક્ષોનું વાવેતર થાય તેની તકેદારી લીધી હતી. તેઓએ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા આગ્રહભરી વિનંતી કરી હતી. આ ઉમદા કાર્યમાં સરકાર અને સંગઠન નાગરિકો સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહેશે તેવી ખાતરી પણ આપી હતી. આ અભિયાન રાજકીય નથી પણ સમાજ, શહેર, પ્રદેશ, દેશ અને પૃથ્વીને બચાવવાનો સ્તુત્ય પ્રયાસ છે. અંતમાં શ્રી શાહે સમગ્ર ગાંધીનગર સંસદીય ક્ષેત્ર, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા સહિત તમામ વિસ્તારો હરિયાળા બનાવવા સામૂહિક પ્રયત્નો કરવા આહવાન કર્યું હતું.

આ કાર્યક્રમમાં અ.મ્યુ.કો.ના મેયરશ્રી કિરીટભાઇ પરમાર સહિતના મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1838838)