માનવ સંસાધન વિકાસ મંત્રાલય
નવી શિક્ષણનીતિના ત્રણ વર્ષ પૂર્ણ: 10+2+3ની જગ્યાએ 5+3+3+4 મુજબના અભ્યાસક્રમ કેન્દ્રીય વિદ્યાલયોમાં અમલી
નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી નહીં કરવી પડે, કૌશલ્ય સંવર્ધનને પ્રાધાન્ય : કેન્દ્રીય વિદ્યાલય-સુરતના પ્રાચાર્ય યશદિપ રોહિલ્લા
નવી શિક્ષણ નીતિ ભારતને વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર તરફ દોરી જશે : શ્રી યશદિપ રોહિલ્લા
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ ની ત્રીજી વર્ષગાંઠ સંદર્ભે કેન્દ્રીય વિદ્યાલય-ઈચ્છાનાથ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
કેન્દ્રીય વિદ્યાલય-સુરતના પ્રાચાર્યશ્રીએ નવી શિક્ષણ નીતિની તલસ્પર્શી જાણકારી આપી
પોસ્ટેડ ઓન:
27 JUL 2023 3:02PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 ને ત્રણ વર્ષ પૂર્ણ થતા ત્રણ વર્ષ દરમિયાનની શિક્ષણનીતિની સિદ્ધિઓ અને ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવાના ભાગરૂપે સુરતની કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક:1, ઈચ્છાનાથ ખાતે કેન્દ્રીય વિદ્યાલય-સુરત અને પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના સંયુક્ત ઉપક્રમે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય વિદ્યાલયના પ્રાચાર્યશ્રી યશદિપ રોહિલ્લાએ શિક્ષણ નીતિની તલસ્પર્શી જાણકારી આપી હતી. તેમણે દેશની ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020’ વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ અપાવશે એમ જણાવતા 10+2+3 ની જગ્યાએ 5+3+3+4 મુજબના અભ્યાસક્રમ કેન્દ્રીય વિદ્યાલયોમાં અમલી હોવાની વિગતો આપી હતી.

પ્રાચાર્યશ્રીએ મીડિયા સાથે સંવાદ કરતા વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓ શિક્ષણને રચનાત્મક રીતે પ્રાપ્ત કરે અને નિયત અભ્યાસક્રમની સાથે રૂચિ મુજબના વિષયો અને કૌશલ્યમાં મહારત હાંસલ કરે તેવી ભવિષ્યલક્ષી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. શિક્ષણનું સ્તર સુધારવા માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે બાળકો ધો.1 થી જ મૂલ્યનિષ્ઠ અને સર્વાંગી શિક્ષણ મેળવે, શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં પણ રસ લે એ આ શિક્ષણનીતિનો પાયાનો ઉદ્દેશ છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના ત્રણ વર્ષ પૂર્ણ થતાં તેના હકારાત્મક પરિવર્તનોથી અવગત કરાવતા પ્રાચાર્યશ્રીએ કહ્યું કે, હાલમાં 10+2+3 મુજબ શૈક્ષણિક પદ્ધતિના સ્થાને હવે 5+3+3+4 નું નવું માળખું અમલી બનશે. હાલમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયમાં લાગુ કરવામાં આવી છે. જેને તબક્કાવાર રાજ્યસ્તરે પણ લાગુ કરવામાં આવશે. ઉપરાંત, શાળાના વાતાવરણ સાથે બાળકો અનુકૂલન સાધી શકે તે માટે બાળકના ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ બાલવાટિકામાં તેમજ 5 વર્ષનું થયા પછી ધો-1માં પ્રવેશ આપવામાં આવશે.

રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓ, રમત, વાર્તા, જ્ઞાનગમ્મત સાથે બે ભિન્ન વિષયોને એકબીજા સાથે એકીકૃત કરી (દા.ત. હિન્દીને ગણિત સાથે જોડવી) શિક્ષણ આપવા ઉપરાંત શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જોડાણ સ્થાપિત થાય તેવા શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની રૂચિ મુજબના વિષયોનો અભ્યાસ કરી શકે તેની પણ છૂટ આપવામાં આવી છે. ભણતર પર ભાર મૂકવાથી પાઠ્યપુસ્તકો પરની નિર્ભરતા ઘટશે. ઉપરાંત ભવિષ્યમાં જે ક્ષેત્રમાં ઉજ્જવળ તક રહેલી છે, તેમાં ઝંપલાવવા કૌશલ્યવર્ધનને વણી લેવામાં આવ્યું છે. વર્ષ 2030 સુધીમાં ધો. 1 થી 10માં 100 ટકા નામાંકન થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે એમ શ્રી રોહિલ્લાએ ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે, શિક્ષણનીતિથી વિદ્યાર્થીઓમાં દક્ષતા કેળવાય અને અનુભવ આધારિત શિક્ષણ મળે તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઉપરાંત વિદ્યાર્થીઓ હિન્દી, અંગ્રેજી ઉપરાંત સ્થાનિક ભાષામાં પણ શિક્ષણ મેળવી શકશે એમ જણાવી ભારત વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનવા તરફ અગ્રેસર બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શ્રી રોહિલ્લાએ શિક્ષણ નીતિને પારદર્શક બનાવવી, ટેક્નોલોજીનો બને તેટલો ઉપયોગ કરવો. સર્વગ્રાહી મૂલ્યાંકન, વિવિધ ભાષાઓ શીખવવી, બાળકોના વિચારોને સર્જનાત્મક અને તાર્કિક બનાવવાના નવી શિક્ષણનીતિના લક્ષ્યો જણાવી તેના થકી મલ્ટી ડિસીપ્લીનરી શિક્ષણની સંકલ્પના સાકાર થશે એમ ઉમેર્યું હતું.
પ્રેસ કોન્ફરન્સમાં હેડમાસ્ટર રમનજીત જોહર, પી.આઈ.બી.ના મીડિયા અને કોમ્યુનિકેશન ઓફિસરશ્રી ઈન્દ્રવદનસિંહ ઝાલા, સહાયક માહિતી નિયામકશ્રી સી.એફ.વસાવા સહિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
CB/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1943176)
મુલાકાતી સંખ્યા : 226