સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
દેશના સામાજિક - આર્થિક વિકાસમાં પોસ્ટ વિભાગનું મહત્વપૂર્ણ યોગદાન - પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ
પોસ્ટ વિભાગ 170 વર્ષનું થયું, પોસ્ટ વિભાગ ઘણી ઐતિહાસિક અને સામાજિક-આર્થિક ઘટનાઓનું રહ્યું છે સાક્ષી
અમદાવાદ જીપીઓમાં પોસ્ટ વિભાગની 170મી વર્ષગાંઠની ઉજવણી, ડાક ચૌપાલ અને રક્તદાન શિબિરનું આયોજન
Posted On:
01 OCT 2024 3:34PM by PIB Ahmedabad
પોસ્ટ વિભાગ એ દેશના સૌથી જૂના વિભાગોમાંનું એક છે જે દેશના સામાજિક-આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 1 ઓક્ટોબર, 1854ના રોજ સ્થપાયેલ ભારતીય પોસ્ટ વિભાગ તેની 170 વર્ષની સફરમાં અનેક ઐતિહાસિક અને સામાજિક-આર્થિક ઘટનાઓનું સાક્ષી રહ્યું છે. ઉપરોક્ત નિવેદન ભારતીય પોસ્ટ વિભાગ ના સ્થાપના દિને અમદાવાદ જી.પી.ઓ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ઉત્તર ગુજરાત પરિક્ષેત્ર, અમદાવાદના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવએ વ્યક્ત કર્યું હતું.

આ અવસરે આયોજિત ડાક ચૌપાલમાં, લોકોને પોસ્ટ વિભાગની વિવિધ સેવાઓ વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા. પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ, ધારાસભ્ય દરિયાપુર શ્રી કૌશિકભાઈ જૈન, ડાક નિદેશક સુશ્રી મીતા કે. શાહ, મુખ્ય પોસ્ટમાસ્ટર શ્રી ગોવિંદ શર્મા, અને એજીએમ આઈપીપીબી ડૉ. રાજીવ અવસ્થીએ સાથે મળીને બચત બેંક, સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સમ્માન બચત પત્ર, ડાક જીવન વીમા, અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની પાસબુક, બોન્ડ અને કાર્ડનું વિતરણ કર્યું. જી.પી.ઓમાં રક્તદાન કેમ્પના મારફતે રક્ત દાનને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું. કેક કાપીને 'હેપ્પી બર્થડે ટુ ઈન્ડિયા પોસ્ટ' ગીત પણ ગવાયું.

પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે પોસ્ટ વિભાગ હવે માત્ર પત્રો, પાર્સલ અને મની ઓર્ડર પૂરતો મર્યાદિત નથી, પરંતુ નાણાકીય સમાવેશ, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયની સાથે તમામ સેવાઓ એક છત નીચે ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. પોસ્ટ ઓફિસમાં બચત બેંક, ડાક જીવન વીમો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર, આધાર નોંધણી અને અપડેટ, કોમન સર્વિસ સેન્ટર, ડાકઘર નિર્યાત કેન્દ્ર જેવા ઘણા જનસેવાના કાર્યો કરવામાં આવે છે. 'ડાકિયા ડાક લાયા' થી 'ડાકિયા બેંક લાયા' સુધીની સફરમાં ડાક સેવાઓએ ઘણા નવા આયામો સર્જ્યા છે. ડાકઘર નિર્યાત કેન્દ્રો દ્વારા ઓડીઓપી, જી.આઈ., અને એમએસએમઈના ઉત્પાદનો વિદેશોમાં પહોંચી રહ્યા છે, જે 'વોકલ ફોર લોકલ' અને 'આત્મનિર્ભર ભારત'ની સંકલ્પનાને મજબૂત કરે છે.

દરિયાપુરના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈને જણાવ્યું હતું કે પોસ્ટ ઓફિસ આપણા સૌની યાદો સાથે જોડાયેલી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ડાક સેવાઓમાં ઘણા ફેરફારો થયા છે. આજે દૂરના વિસ્તારોમાં પણ પોસ્ટ ઓફિસો બેંકની ભૂમિકા ભજવી રહી છે.
નિદેશક ડાક સેવા સુશ્રી મીતા કે. શાહે સ્થાનિકથી લઈને વૈશ્વિક બજારો સુધી પહોંચવામાં પોસ્ટલ નેટવર્કની સુગમતા અને કાર્યક્ષમતા વિશે માહિતી આપી. તેઓએ જણાવ્યું કે, ઈ-કોમર્સ ઉત્પાદનો માટે કેશ ઑન ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ છે.
આ અવસરે મેનેજર એમ.એમ.એસ શ્રી ધરમ વીર સિંહ, એજીએમ આઇપીપીબી ડૉ. રાજીવ અવસ્થી, મુખ્ય પ્રબંધક શ્રી કપિલ મંત્રી, ડેપ્યુટી ચીફ પોસ્ટ માસ્ટર શ્રી અલ્પેશ શાહ, સહાયક નિર્દેશક સુશ્રી એમ એ પટેલ, શ્રી રિતુલ ગાંધી, વરિષ્ઠ પ્રબંધક શ્રી સ્નેહલ મેશરામ અને અન્ય ઘણા અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
AP/GP/JD
(Release ID: 2060649)