પંચાયતી રાજ મંત્રાલય
આત્મનિર્ભર ભારતનું નિર્માણ
સ્વામિત્વ યોજનાના 5 વર્ષ
પોસ્ટેડ ઓન:
23 APR 2025 5:56PM by PIB Ahmedabad
"દેશ ગામડાઓ અને ગરીબોને આત્મનિર્ભર બનાવવા અને ભારતની સંભાવનાઓને સાકાર કરવા માટે કટિબદ્ધ છે. આ સંકલ્પને પ્રાપ્ત કરવામાં સ્વામિત્વ યોજનાની ભૂમિકા ખૂબ મોટી છે."
• પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
સારાંશ
- એપ્રિલ 2020માં શરૂ કરાયેલી સ્વામિત્વ યોજના, ડ્રોન-આધારિત સર્વેક્ષણનો ઉપયોગ કરીને ગ્રામીણ રહેણાંક જમીનની કાયદેસર માલિકી પ્રદાન કરે છે.
- સ્વામિત્વનો અમલ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સર્વે ઓફ ઈન્ડિયા અને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસીસ ઇન્ક.(NICSI) ના સહયોગથી કરવામાં આવ્યો હતો.
- તેનો ઉદ્દેશ્ય ગ્રામીણ નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ જારી કરીને, ધિરાણની સુલભતા, વિવાદનું નિરાકરણ અને વધુ સારું આયોજન કરીને સશક્ત બનાવવાનો છે.
- આ યોજના હેઠળ 1.61 લાખ ગામડાઓ માટે 2.42 કરોડથી વધુ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે.
- 68,122 ચોરસ કિમી વિસ્તારને આવરી લેતા 3.20 લાખ ગામડાઓમાં ડ્રોન સર્વે પૂર્ણ થયો.

સ્વામિત્વ ગ્રામીણ વહીવટમાં પરિવર્તન લાવી રહી છે, આર્થિક વિકાસને વેગ આપી રહી છે અને વૈશ્વિક મંચ પર ભારતની જમીન ટેકનોલોજીનું પ્રદર્શન કરી રહ્યું છે.
પરિચય

પ્રધાનમંત્રીએ 24 એપ્રિલ, 2020નાં રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનાં રોજ સ્વામિત્વ (સર્વે ઑફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રુવાઇઝ્ડ ટેકનોલોજી ઇન વિલેજીસ) યોજના શરૂ કરી હતી. આ વર્ષે સ્વામિત્વ તેની પાંચમી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે! આ યોજના ગામોના લોકોને તેઓ જે મકાનો અને જમીન પર રહે છે તેના માટે કાનૂની માલિકીના કાગળો મેળવવામાં મદદ કરે છે. તે સંપત્તિની સીમાઓને સ્પષ્ટપણે ચિહ્નિત કરવા માટે ડ્રોન અને વિશેષ મેપિંગ ટૂલ્સનો ઉપયોગ કરે છે. આ કાગળો દ્વારા લોકો બેંક લોન લઈ શકે છે, જમીનના વિવાદોનું સમાધાન કરી શકે છે અને વધુ કમાણી કરવા માટે તેમની સંપત્તિનો ઉપયોગ પણ કરી શકે છે. તે ગામડાના વધુ સારા આયોજનમાં પણ મદદ કરે છે.
સ્વામિત્વ યોજનાનું અમલીકરણ સર્વે ઓફ ઇન્ડિયા (SOI) દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર સર્વિસીસ ઇન્ક. (NICSI) ટેકનોલોજી ભાગીદાર છે. નાણાકીય વર્ષ 2020-21થી નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં કુલ ખર્ચ ₹566.23 કરોડ છે, જે નાણાકીય વર્ષ 2025-26 સુધી લંબાવવામાં આવ્યો છે.
યોજના હેઠળ મુખ્ય સિદ્ધિઓ
- 18 જાન્યુઆરી, 2025ના રોજ 10 રાજ્યો (છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ) અને 2 કેન્દ્રશાસિત પ્રદેશો (જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ) ના 50,000થી વધુ ગામોમાં 65 લાખ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
- 2 એપ્રિલ 2025 સુધીમાં, સ્વામિત્વ યોજના હેઠળ 3.20 લાખ ગામોમાં ડ્રોન સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સર્વેક્ષણોમાં દરેક ગામમાં વસવાટ કરતા વિસ્તારોના સરેરાશ કદના આધારે અંદાજિત 68,122 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે.
- 11 માર્ચ 2025 સુધી 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સમજૂતી કરારો (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશો લક્ષદ્વીપ, લદ્દાખ, દિલ્હી અને આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ રાજ્યોમાં સંપૂર્ણ કવરેજ સાથે 3.20 લાખ ગામોમાં ડ્રોન સર્વેક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું છે. 1.61 લાખ ગામો માટે કુલ 2.42 કરોડ પ્રોપર્ટી કાર્ડ જારી કરવામાં આવ્યા છે.

સ્વામિત્વ: પ્રેરણાદાયી ગ્લોબલ લેન્ડ ગવર્નન્સ ઈનોવેશન્સ
ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીન વહીવટમાં પરિવર્તન લાવીને અને અન્ય દેશોને સમાન મોડેલ અપનાવવા માટે પ્રેરણા આપીને સ્વામિત્વ એક વૈશ્વિક ઉદાહરણ સ્થાપિત કરી રહી છે.
- ગુરુગ્રામની હરિયાણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (HIPA) ખાતે 24 થી 29 માર્ચ, 2025 દરમિયાન આયોજિત લેન્ડ ગવર્નન્સ પર આંતરરાષ્ટ્રીય વર્કશોપમાં 22 દેશોના વરિષ્ઠ અધિકારીઓને એકઠા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતનાં નવીન અભિગમને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેમાં ડ્રોન-આધારિત સર્વેક્ષણો, ડિજિટલ પ્રોપર્ટી રેકોર્ડ્સ અને સ્વમિત્વ યોજના મારફતે પારદર્શક શાસન સામેલ છે.
- ભારત મંડપમમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટ્રેડ ફેર 2024માં આ યોજનાએ દર્શાવ્યું હતું કે કેવી રીતે ડ્રોન અને જીઆઈએસ મેપિંગ ગ્રામીણ સમુદાયોને સ્પષ્ટ અને કાનૂની જમીનની માલિકી મેળવવામાં મદદ કરે છે. આ માત્ર વિવાદોને જ ઘટાડે છે, પરંતુ ધિરાણની સુલભતામાં પણ સુધારો કરે છે અને આર્થિક વિકાસને વેગ આપે છે, ગ્રામીણ ભારતને સશક્ત બનાવે છે અને સંપત્તિના અધિકારોમાં વધારો કરે છે.
સ્વામિત્વની જરૂરિયાત
દાયકાઓ સુધી, ભારતના ઘણા ગામડાઓના ઘરો અને જમીનોની ક્યારેય યોગ્ય રીતે નોંધ કરવામાં આવી ન હતી. કાનૂની દસ્તાવેજો વિના, લોકો માલિકી સાબિત કરી શકતા ન હતા અથવા બેંક લોન અથવા સરકારી મદદ મેળવવા માટે તેમની મિલકતનો ઉપયોગ કરી શકતા ન હતા. રેકોર્ડના અભાવે ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક વિકાસ ધીમો પડી ગયો અને જમીનના વિવાદો વારંવાર બનતા ગયા. આના ઉકેલ માટે, સ્વામિત્વ યોજના લોકોને કાનૂની માલિકીના કાગળો આપે છે, જે તેમને તેમના અધિકારો સુરક્ષિત કરવામાં અને વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરવામાં મદદ કરે છે.

સ્વામિત્વના ઘટકો
સ્વામિત્વ યોજના મુખ્ય ઘટકો પર નિર્મિત છે, જે જમીનનું સચોટ મેપિંગ, કાર્યદક્ષ અમલીકરણ અને સામુદાયિક જાગૃતિ સુનિશ્ચિત કરે છેઃ
- સતત કાર્યરત રેફરન્સ સ્ટેશનો (CORS) નેટવર્કની સ્થાપના: CORS નેટવર્ક ગ્રાઉન્ડ કંટ્રોલ પોઈન્ટ્સની સ્થાપનામાં મદદ કરે છે, જે સચોટ ભૂ-સંદર્ભ, ગ્રાઉન્ડ ટ્રુથિંગ અને જમીન સીમાંકન માટે એક મહત્વપૂર્ણ પ્રવૃત્તિ છે.
- ડ્રોનનો ઉપયોગ કરીને મોટા પાયે મેપિંગ: ભારત દ્વારા ડ્રોન સર્વેનો ઉપયોગ કરીને ગ્રામીણ આબાદી (વસ્તી) વિસ્તાર સર્વેનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે. તે માલિકી મિલકત અધિકારો સોંપવા માટે ઉચ્ચ રીઝોલ્યુશન અને સચોટ નકશા બનાવે છે. આ નકશા અથવા ડેટાના આધારે, ગ્રામીણ ઘરમાલિકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે.
- માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર (IEC) પહેલ: સ્થાનિક વસ્તીને યોજનાની કામગીરી અને તેના ફાયદાઓ વિશે જાગૃત કરવા માટે જાગૃતિ કાર્યક્રમો.
- "ગ્રામ મંચ" અવકાશી આયોજન એપ્લિકેશનનું વિસ્તરણ: ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP)ની તૈયારીને ટેકો આપવા માટે અવકાશી વિશ્લેષણાત્મક સાધનો બનાવવા માટે ડ્રોન સર્વેક્ષણ હેઠળ બનાવેલા ડિજિટલ અવકાશી ડેટા/નકશાનો ઉપયોગ.
- ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ: પ્રવૃત્તિઓની પ્રગતિ પર નજર રાખવા માટે ઓનલાઈન મોનિટરિંગ અને રિપોર્ટિંગ ડેશબોર્ડનું નિરીક્ષણ કરવામાં આવે છે.
- પ્રોજેક્ટ મેનેજમેન્ટ: યોજનાના અમલીકરણમાં મંત્રાલય અને રાજ્યને અનુક્રમે સહાય કરવા માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પ્રોગ્રામ મેનેજમેન્ટ એકમો.
સફળતાની વાર્તાઓ
સ્વામિત્વ યોજના સ્પષ્ટ મિલકત અધિકારો પ્રદાન કરીને અને જમીન વ્યવસ્થાપનમાં સુધારો કરીને ગ્રામીણ શાસનમાં પરિવર્તન લાવી રહી છે. આ ઉદાહરણો ગ્રામીણ પ્રગતિને આગળ વધારવા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવામાં આયોજનની ભૂમિકા પર ભાર મૂકે છે.
વિવાદનો ઉકેલ: 25 વર્ષની અનિશ્ચિતતા પછી, હિમાચલ પ્રદેશના તરોપકા ગામની શ્રીમતી સુનિતાને સ્વામિત્વ યોજના દ્વારા તેમની પૂર્વજોની જમીનની કાયદેસર માલિકી મળી હતી. પોતાના પ્રોપર્ટી કાર્ડ વડે, તેમણે પોતાના પાડોશી સાથેના લાંબા સમયથી ચાલતા વિવાદનો ઉકેલ લાવ્યો, જેનાથી તેમના પરિવારના ભવિષ્યમાં શાંતિ અને સુરક્ષા આવી હતી. સ્વામિત્વ યોજનાએ તેમને સ્પષ્ટ માલિકી આપી, જેનાથી તેમના જીવનમાં સુધારો થયો.
નાણાકીય સમાવેશ: રાજસ્થાનના ફ્લેટેડ વિલેજના શ્રી સુખલાલ પારગીને સ્વામીત્વ યોજના દ્વારા પ્રોપર્ટી કાર્ડ મળ્યા. આ દસ્તાવેજોની મદદથી તેઓ નાણાકીય સેવાઓનો ઉપયોગ કરી શક્યા. પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ કરીને તેને તાત્કાલિક રૂ. ૩ લાખની બેંક લોન મળી ગઈ. સ્વામિત્વ યોજનાએ તેમને કાનૂની માલિકી આપી અને તેમની નાણાકીય સ્થિરતા સુધારવામાં મદદ કરી.
નિષ્કર્ષ
સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારતમાં જમીન માલિકીમાં પરિવર્તન લાવી રહી છે. તે જૂના પડકારોને વિકાસ અને સશક્તિકરણ માટે નવી તકોમાં પરિવર્તિત કરે છે. આ યોજના વિવાદોને ઉકેલવા અને અવરોધોને તોડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તે લોકોને આર્થિક પ્રગતિ માટે તેમની જમીનનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. ડ્રોન અને ડિજિટલ પ્રોપર્ટી કાર્ડ્સ સાથે, તે નવી શક્યતાઓ ઊભી કરવા વિશે છે. સ્વામિત્વ એ ફક્ત એક સરકારી કાર્યક્રમ નથી, તે આત્મનિર્ભરતા, વધુ સારા આયોજન અને મજબૂત ગ્રામીણ ભારત તરફનું એક પગલું છે.
સંદર્ભો
https://static.pib.gov.in/WriteReadData/specificdocs/documents/2022/jun/doc20226862301.pdf
પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2124002)
મુલાકાતી સંખ્યા : 462