સહકાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિશ્વની સૌથી મોટી સહકારી ખાદ્ય અનાજ સંગ્રહ યોજનાની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી


મોદી સરકારની દૂરંદેશી ખાદ્ય અનાજ સંગ્રહ યોજના PACS ની આવક અને ગ્રામીણ રોજગારમાં વધારો કરશે

PACS ને લોન સુવિધાનો વિસ્તાર કરવો જોઈએ અને યોજનામાં PACS ની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવી જોઈએ

FCI, NCCF, NAFED અને રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશને PACS ને શક્ય તેટલા વધુ વેરહાઉસ સાથે જોડવા જોઈએ

સંપૂર્ણ સહકારી પુરવઠા શૃંખલા વિકસાવવા માટે, રાજ્યો અને સહકારી માર્કેટિંગ ફેડરેશનએ તેમના સ્તરે શક્ય તેટલા વધુ PACS ને સામેલ કરવા જોઈએ

અન્ન સંગ્રહ યોજના સમયસર સંકલન સાથે અમલમાં મૂકવી જોઈએ, આ 'આત્મનિર્ભર ભારત' તરફ એક મહત્વપૂર્ણ પગલું હશે

Posted On: 02 JUN 2025 6:51PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હીમાં વિશ્વની સૌથી મોટી સહકારી ખાદ્ય અનાજ સંગ્રહ યોજનાની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં સહકાર રાજ્યમંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર અને શ્રી મુરલીધર મોહોલ ઉપરાંત, સહકાર, ખાદ્ય અને જાહેર વિતરણ, ગ્રાહક બાબતો, ભારતીય ખાદ્ય નિગમ (FCI), નાબાર્ડ, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ (NCDC) અને અન્ય સંસ્થાઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકને સંબોધતા, કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી ખાદ્ય અનાજ સંગ્રહ યોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના "સહકાર સે સમૃદ્ધિ"ના વિઝનને સાકાર કરવા તરફ એક મોટું પગલું છે. તેમણે કહ્યું કે ભારતમાં આર્થિક પ્રગતિને માપવા માટે બે મુખ્ય પરિમાણો છે - કુલ સ્થાનિક ઉત્પાદન (GDP) અને રોજગાર સર્જન. ખાદ્ય સંગ્રહ યોજના આ બંને પાસાઓને મજબૂત બનાવવા માટે છે. જેનો ઉદ્દેશ્ય પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (PACS)ની આવક વધારવા તેમજ ગ્રામીણ રોજગારની તકો ઊભી કરવાનો છે. શ્રી શાહે કૃષિ માળખાગત ભંડોળ (AIF) હેઠળ લોનની અવધિ લંબાવીને PACS ની નાણાકીય સ્થિતિ સુધારવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

IMG_4932.JPG

ખાદ્ય સંગ્રહ યોજનામાં PACSની વ્યાપક સંડોવણી પર ભાર મૂકતા, કેન્દ્રીય સહકારિતા મંત્રીએ કહ્યું કે PACS ને આ યોજનાનો અભિન્ન ભાગ બનાવવો જરૂરી છે. જેથી PACSની નાણાકીય સદ્ધરતા અને સામાજિક અસરકારકતા સુનિશ્ચિત કરી શકાય. તેમણે ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અને ભારતીય ખાદ્ય નિગમને દેશભરમાં વેરહાઉસનું રાષ્ટ્રીય સ્તરનું મેપિંગ કરવા નિર્દેશ આપ્યો હતો. જેથી યોજનાનો અમલ પ્રાદેશિક જરૂરિયાતો અનુસાર સરળતાથી થઈ શકે. શ્રી અમિત શાહે FCI, NCCF, NAFED અને રાજ્ય વેરહાઉસિંગ કોર્પોરેશનોને PACSને શક્ય તેટલા વધુ વેરહાઉસ સાથે જોડવા પણ નિર્દેશ આપ્યો હતો.

બેઠકમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે રાજ્યોએ આ યોજનામાં તેમના સ્તરે વધુ PACSને સામેલ કરવા જોઈએ અને રાજ્ય સ્તરના માર્કેટિંગ ફેડરેશનને પણ તેની સાથે જોડવા જોઈએ. જેથી સંપૂર્ણ સહકારી પુરવઠા શૃંખલા વિકસાવી શકાય.

કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તમામ સંગઠનોને આ યોજનાનું સમયસર અને અસરકારક રીતે સંકલન કરીને અમલીકરણ કરવા હાકલ કરી હતી. જેથી આ યોજના 'આત્મનિર્ભર ભારત' અને 'સહકાર સે સમૃદ્ધિ' ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થાય.

AP/IJ/GP/JD


(Release ID: 2133381)