પર્યાવરણ અને વન મંત્રાલય
azadi ka amrit mahotsav

ગુજરાત ક્લાઇમેટ એક્શન સમિટ 3.0 સાથે વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણી


યુવાનો અને સમુદાયો ક્લાઇમેટ એક્શનમાં મોખરે

Posted On: 05 JUN 2025 5:48PM by PIB Ahmedabad

આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર યુનિસેફ, ઈન્ડિયા અને અન્ય સંસ્થાઓના સહયોગથી અમદાવાદ ખાતે યોજાયેલી ગુજરાત ક્લાઇમેટ એક્શન સમિટ 3.0 એ રાજ્યમાં ટકાઉ ક્લાઇમેટ એક્શનને આગળ વધારવા માટે યુવા નેતાઓ, સમુદાય ચેમ્પિયન, નિષ્ણાતો અને નીતિ નિર્માતાઓને એકત્રિત થયા હતા. આ સમિટમાં ક્લાઇમેટ કટોકટીનો સામનો કરવામાં યુવાનો અને સમુદાયોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે આયોજિત આ સમિટને સંબોધતા રાષ્ટ્રીય વિદ્યાર્થી સેવાના શ્રી ડૉ. કમલ કુમાર કરે એક વૃક્ષ,એક સેલ્ફી લઈને તે વૃક્ષની જાળવણી કરીને કેવી રીતે એક પર્યાવરણ સુધાર ઝુંબેશ શરૂ કરી શકાય તે વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ આપણી સૌની જવાબદારી છે અને માત્ર એક સેલ્ફી બહુ મોટું જન આંદોલન બની શકે છે.

સમિટના પેનલિસ્ટ્સ, રીકો સોલ્યુશનના સ્થાપક પ્રણવ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ કેવી રીતે હેરિટેજ સ્થળોની સફાઈ કરી રહ્યા છે અને પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતો કચરો કે અન્ય વસ્તુઓને સુઆયોજિત રીતે રિસાયકલ કરી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો અંત લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોલેજ કેમ્પસને હરિયાળું બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. યુવાનો ટકાઉ પડકારો માટે કેવી રીતે પગલાં લઈ શકે, પોતાનું ખાતર બનાવી શકે, પ્લાસ્ટિકની થેલીઓને બદલે કાપડની થેલીઓ કેવી રીતે લઈ શકે વગેરે પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જે આ સમિટના મુખ્ય મુદ્દાઓ રહ્યા છે.

ગુજરાત ક્લાઇમેટ એક્શન સમિટ 3.0માં બે પ્રભાવશાળી પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ "પ્લાસ્ટિક, પ્લેનેટ અને લોકો: સમુદાય-સંચાલિત મોડેલ્સ જે કાર્ય કરે છે" વિષય પરના પેનલે પ્લાસ્ટિક પ્રદૂષણનો સામનો કરવા માટે નવીન, સમુદાય-સંચાલિત ઉકેલો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. સત્રમાં ડૉ. જાસ્મીન ગુપ્તા (ડિરેક્ટર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટી), પ્રીતિ ડી'સોઝા (સહ-સ્થાપક, રિસાયકલિંગ) અને પ્રણવ દેસાઈ (સ્થાપક, રીકો સોલ્યુશન્સ) સહિતના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

જયારે બીજી "યુથ લીડિંગ ધ ચેન્જ - સ્ટોરીઝ ઓફ યંગ ક્લાઇમેટ ચેન્જર્સ" પેનલે ક્લાઇમેટ એક્શનમાં યુવા નેતૃત્વની પ્રેરણાદાયી વાર્તાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સત્રમાં હેલી શાહ (ડ્યુરોગ્રીન ખાતે સસ્ટેનેબિલિટી એન્ડ પાર્ટનરશિપના વડા), હિરેન જોશી (ગેધરિંગ ગ્રીન્સના સ્થાપક), કરણ શાહ (સિવિટાસ સસ્ટેનેબિલિટી ફાઉન્ડેશન ખાતે પાર્ટનરશિપ એન્ડ આઉટરીચના વડા) અને માર્મી જગાણી (અદાણી વિદ્યા મંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થી) સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેનું સંચાલન AMAના કરનિલ પંચોલી દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે મળીને, તેઓએ નવીન ઉકેલો, સમુદાય-આગેવાની પહેલો અને ગુજરાત માટે સતત ભવિષ્યના નિર્માણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

ગુજરાત ક્લાઇમેટ એક્શન સમિટ 3.0સમિટના મુખ્ય ઉદ્દેશ્યોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં વૃક્ષારોપણ, કચરો અલગ કરવો, પાણી બચાવવાની પદ્ધતિઓ અને સસ્ટેઇનેબલ ક્લબ દ્વારા તેમના કેમ્પસને હરિયાળું બનાવવા માટે પ્રેરિત કરવા, યુવાનો માસિક ધોરણે પર્યાવરણીય આદતોને પ્રોત્સાહન આપતા પડકારોનું નેતૃત્વ કરશે. જેમ કે ટૂંકા અંતર સુધી ચાલવું/સાયકલ ચલાવવી, પ્લાસ્ટિકના સ્ટ્રો ટાળવા અને કન્ટેનરનો ફરીથી ઉપયોગ કરવો, કોલેજના વિદ્યાર્થીઓને સ્થળ પર ખાતર ખાડાઓ (ઓન-સાઇટ કમ્પોસ્ટ પીટ્સ) સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે, જેનાથી સર્ક્યુલર કચરા વ્યવસ્થાપનને પ્રોત્સાહન મળશે અને લેન્ડફિલનો ભાર ઓછો કરવાનો છે.

સમાપન સમારોહને સંબોધતા, યુનિસેફ ઇન્ડીયાના ડૉ. નારાયણ ગાંવકરે #MyGreenHabit ડિજિટલ ઝુંબેશ જેવી પહેલ દ્વારા વ્યવહાર પરિવર્તન અને આબોહવા-મૈત્રીપૂર્ણ ટેવોને પ્રોત્સાહન આપવાની યુનિસેફની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે "તમારા જેવા યુવાનો ફક્ત આવતીકાલના નેતા જ નથી, તમે આજના પરિવર્તનકર્તા પણ છો. તમારા અવાજો, પસંદગીઓ અને ક્રિયાઓ ટકાઉ અને સમાન ભવિષ્યના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે. યુનિસેફ ગુજરાત અમારા ભાગીદારો અને સમુદાયો સાથે મજબૂત રીતે ઉભું છે, મિશન લાઇફને સમર્થન આપે છે અને યુવાનોને આબોહવા કાર્યવાહી માટે વર્તન પરિવર્તનનું નેતૃત્વ કરવા માટે સશક્ત બનાવે છે." ગુજરાત ક્લાઇમેટ એક્શન સમિટ 3.0એ તમામ હિસ્સેદારો, સરકાર, નાગરિક સમાજ, વ્યવસાય અને યુવાનોને ટકાઉ અને સમાન આબોહવા ઉકેલો માટે સાથે મળીને કામ કરવા હાકલ કરી છે.

આ કાર્યક્રમનું આયોજન એલિક્સિર ફાઉન્ડેશન દ્વારા યુનિસેફ ઇન્ડિયા, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, ડિપાર્ટમેન્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ, ગુજરાત સરકાર, રાષ્ટ્રીય વિદ્યાર્થી સેવા(NSS), કેન્દ્રીય સંચાર બ્યૂરો, માહિતી અને પ્રસારણ મંત્રાલય, અમદાવાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટી (IIS) અને અમદાવાદ ગ્લોબલ શેપર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 300થી વધુ યુવા સહભાગીઓએ હાજરી આપી હતી.

 

 


(Release ID: 2134253)