માહિતી અને પ્રસારણ મંત્રાલય
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતમાં અન્ન વિતરણ તેમજ ઇથેનોલ ઉત્પાદનની જાણકારી મેળવતું મીડિયા પ્રતિનિધિ મંડળ
પીઆઈબી, દિલ્હી દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની કામગીરી સમજવા આ મીડિયા ટૂરનું આયોજન
Posted On:
10 JUN 2025 9:43PM by PIB Ahmedabad
સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા પીઆઇબીના સહયોગથી મીડિયા ટૂરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં દિલ્હીથી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિદેશક ડૉ. મોનિકા સિંઘ તેમજ પીઆઈબીના નિહી શર્મા સાથે અન્ય પત્રકારોએ ગાંધીનગર અને અમદાવાદની મુલાકાત લીધી હતી.

આ ટીમે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગાંધીનગરના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈ સરકારી અનાજનું રાશન છેલ્લા બિંદુ એટલે કે દુકાન ધારકો સુધી થતાં વિતરણની સમગ્ર પ્રક્રિયાની જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી આર. સી. મીણા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દેવાંગી દેસાઈ, ડેપ્યુટી મેનેજર સંજય પવાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ આ ટીમ દ્વારા ચાંદલોડિયા ખાતે ભારત સરકારનું સાહસ એવું જન પોષણ કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તેમને નાગરિક માટેના તમામ પોષકવર્ધી ખોરાકની માહિતી આપવામાં આવી હતી.

બપોર પછી ટીમ બાવળા - બગોદરા રોડ ખાતે આવેલી ગ્રેનસ્પાન ન્યુટ્રિએન્ટ પ્રા. લિ. કંપનીમાં ઇથેનોલ પ્રોડક્શન પ્લાન્ટની મુલાકાતે ગઈ હતી. જ્યાં તેઓએ હાલમાં અને ભવિષ્યમાં ઇથેનોલના ઉપયોગ વિશેની માહિતી એકત્ર કરી હતી. આ બાબતે કંપનીના સીઇઓ મનોજ ખંડેલવાલે જણાવ્યું હતું કે ગ્રેનસ્પાન ન્યુટ્રિએન્ટ પ્રા. લિ. મોદી સરકારની 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગની જાહેરાત બાદ ગુજરાતની પ્રથમ કંપની છે, જેને આ પ્લાન્ટની સ્થાપના કરી અને રોજનું 110 કિલો/લિ ઉત્પાદન અહીં કરવામાં આવી રહ્યું છે. જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં જણાવ્યા મુજબ ઇમ્પોર્ટ બિલમાં ઘટાડો, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનું સાકાર કરી રહ્યું છે.

AP/IJ/GP/JD
(Release ID: 2135518)