ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

નવી દિલ્હીમાં રાહત કમિશનરો અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળોની વાર્ષિક પરિષદનું સમાપન

Posted On: 17 JUN 2025 5:28PM by PIB Ahmedabad

ગૃહ મંત્રાલય (MHA) દ્વારા આયોજિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રાહત કમિશનરો અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) -2025ની બે દિવસીય વાર્ષિક પરિષદ આજે નવી દિલ્હીમાં પૂર્ણ થઈ હતી. પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી ડૉ. પી. કે. મિશ્રાએ સમાપન સત્રની અધ્યક્ષતા કરી હતી.

આ પ્રસંગે બોલતા, ડૉ. પી. કે. મિશ્રાએ જણાવ્યું હતું કે આ વાર્ષિક પરિષદ એક નિત્યક્રમ કરતાં વિશેષ છે - તે આપત્તિ જોખમ વ્યવસ્થાપન પ્રત્યેના આપણા સામૂહિક અભિગમને પ્રતિબિંબિત કરવા, પુનર્ગઠન કરવા અને મજબૂત બનાવવાની એક સહિયારી તક છે. આપત્તિઓનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે તેનું અવલોકન કરતા, તેમણે કહ્યું કે આપણે આ વાસ્તવિકતાને સ્વીકારવી જોઈએ એટલે કે જોખમો એકબીજા સાથે જોડાયેલા છે, અસરો વધી રહી છે અને જોખમો આપણા અનુકૂલન કરતા વધુ ઝડપથી વિકસિત થઈ રહ્યા છે.

ડૉ. પી. કે. મિશ્રાએ આગામી દિવસોમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટેના નીચેના પગલાં પર પ્રકાશ પાડ્યો, જે લાંબા ગાળે આપણી સ્થિતિને મજબૂત બનાવશે:

  1. આપત્તિની ઘટના પર વધતી જતી અનિશ્ચિતતાને પહોંચી વળવા માટે તૈયારી અને જાગૃતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જોખમ અને નબળાઈનું લેન્ડસ્કેપ બદલાઈ રહ્યું છે અને તેથી રાજ્યોની તૈયારીનું સ્તર વધારવું જોઈએ.
  2. રાહત અને પ્રતિભાવ અભિગમથી તૈયારી અને શમન અભિગમ તરફ વધુ સારા સંક્રમણ માટે, રાજ્યોએ શીખેલા પાઠને સંસ્થાકીય બનાવવાની જરૂર છે. આ આવશ્યક છે, જેથી ભૂતકાળની આપત્તિઓમાંથી સમજ ભૂલી ન શકાય.
  3. જ્યારે 4-6 જૂન, 2025ના રોજ જીનીવામાં આયોજિત DRR પરના વૈશ્વિક પ્લેટફોર્મમાં ભારતના DRR ફાઇનાન્સિંગ મોડેલને સ્વીકારવામાં આવ્યું છે. ત્યારે રાજ્યોએ પુનઃપ્રાપ્તિ અને શમન ભંડોળનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવો જોઈએ.
  4. ભારતની વિશાળ ભૂગોળ પર પ્રકાશ પાડતા, તેમણે કહ્યું કે આ માટે એક મજબૂત રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ ઉપરાંત, રાજ્યોએ આપત્તિ રાહત કામગીરીમાં સામેલ એજન્સીઓનું મૂલ્યાંકન અને ક્ષમતા વધારવામાં રોકાણ કરવું જોઈએ.
  5. આપત્તિ તૈયારી કલાકોની વાત નથી પરંતુ મિનિટોની વાત છે, કારણ કે ગતિશીલતા અને રાહત કામગીરી શરૂ કરવામાં લેવામાં આવતી દરેક મિનિટ ગણાય છે. આમ, પ્રતિભાવની ગતિમાં સુધારો થવો જોઈએ. ચોક્કસ આપત્તિઓ માટે પ્રારંભિક ચેતવણી પર હજુ ઘણું કરવાનું બાકી છે.
  6. અમુક આપત્તિઓમાં નુકસાનની સંભાવના અંદાજ કરતાં વધુ હોવાનું જણાય છે. ઉદાહરણ તરીકે, દુષ્કાળ જીવન અને આજીવિકાને ગંભીર અસર કરી શકે છે. આ દિવસોમાં વીજળી સૌથી મોટી જાનહાનિ આપત્તિઓમાંની એક તરીકે બહાર આવી રહી છે. તેથી, આ પ્રકારની આપત્તિઓનો સામનો કરવા માટે આપણા શમન પ્રયાસોને ફરીથી માપાંકિત કરવા જોઈએ.
  7. રાજ્યોએ આપત્તિના જોખમોને ઘટાડવા માટે ઓછા ખર્ચે પરંતુ ઉચ્ચ અસરવાળા હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. શહેરી પૂરના ઉકેલોએ સ્થાનિક ભૌગોલિક અને આબોહવાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે.
  8. આપત્તિ પ્રતિભાવની અસરકારકતા વધારવા માટે આપદા મિત્ર દ્વારા સમુદાયની સંડોવણી જેવી સ્વયંસેવક ગતિશીલતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજ્યોએ આપત્તિઓ પછી જીવન બચાવવામાં જન-ભાગીદારી શું ભૂમિકા ભજવી શકે છે તે સમજવું જોઈએ. પ્રધાનમંત્રીની ' My Bharat' પહેલનો ઉપયોગ યુવાનોને આપત્તિ પ્રતિભાવમાં સામેલ કરવા માટે થઈ શકે છે.
  9. આપત્તિ વ્યવસ્થાપનમાં ડેટાના મહત્વ પર પ્રકાશ પાડતા, તેમણે ડીએમ યોજનાઓ બનાવવામાં પીએમના ગતિ શક્તિ સ્તરોનો ઉપયોગ કરવા વિનંતી કરી.
  10. આત્યંતિક ઘટનાઓ અને અનિશ્ચિતતાઓના ઉભરતા પડકારોને ધ્યાનમાં રાખીને, રાજ્યોએ તેમની સંસ્થાઓ, પ્રક્રિયાઓ અને પ્રણાલીઓને ફરીથી ગોઠવવાની અને ફરીથી સક્રિય કરવાની જરૂર છે. જેથી તેઓ જાનમાલના નુકસાનને અટકાવીને આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે પોતાને સજ્જ કરી શકે.

બે દિવસીય પરિષદમાં રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશો, મંત્રાલયો/વિભાગો/કેન્દ્ર સરકારના સંગઠનો અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં SDRF/નાગરિક સંરક્ષણ/હોમગાર્ડ્સ/અગ્નિશામક સેવાઓના 1000થી વધુ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

પરિષદ દરમિયાન, વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું અને નિષ્ણાતોએ પ્રારંભિક ચેતવણી, આપત્તિ પછીની જરૂરિયાતનું મૂલ્યાંકન, શહેરી પૂર વ્યવસ્થાપન, નવી પડકારો અને નવી તકનીકોનો સ્વીકાર, આપત્તિ પ્રતિભાવ દળોની ભૂમિકા, મોક ડ્રીલ, સ્વયંસેવકતા વગેરે જેવા વિષયો પર ચર્ચા કરી હતી.

AP/IJ/GP/JD


(Release ID: 2136988)