કૃષિ મંત્રાલય
'સહકાર દ્વારા સમૃદ્ધિ' વિષય પર રાષ્ટ્રીય સ્તરના સેમિનારમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીનું સંબોધન
સહકારી સંસ્થાઓ ભારતની માટી અને મૂળમાં ઊંડે સુધી વણાયેલી છે: શ્રી શિવરાજ સિંહ ચૌહાણ
"સંકલિત ખેતી માટે ફાર્મ મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતો નાની જમીન હોવા છતાં પણ કેવી રીતે લાભ મેળવી શકે તે અંગે મંથન થઈ રહ્યું છે"
'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન' એ 'લેબ ટુ લેન્ડ'ને જોડવાનો પ્રયાસ છે જેથી વૈજ્ઞાનિક સંશોધનના લાભ ખેડૂતો સુધી પહોંચે: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી
Posted On:
20 JUN 2025 5:02PM by PIB Ahmedabad
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે મુંબઈમાં 'સહકાર દ્વારા સમૃદ્ધિ' વિષય પર રાષ્ટ્રીય સ્તરના સેમિનારને સંબોધિત કર્યો હતો, જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2025ને 'આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ' તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલનો ઉદ્દેશ ભારતમાં સહકારીની પરિવર્તનશીલ શક્તિ દર્શાવવાનો, હિસ્સેદારો વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવાનો અને સહકારી ક્ષેત્રના ભાવિ વિકાસ માટે માર્ગદર્શક યોજના બનાવવાનો છે.
ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય ભાષણ આપતાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓ ભારતની સહકારી સંસ્થાઓ ભારતની માટી અને મૂળમાં ઊંડે સુધી વણાયેલી છે અને પ્રાચીન કાળથી, વિશ્વના કલ્યાણ માટે સહકારની ભાવના અસ્તિત્વમાં છે.
કૃષિ ક્ષેત્ર વિશે બોલતા શ્રી ચૌહાણે કહ્યું કે ખેડૂતોનું મહત્વ ક્યારેય સમાપ્ત થઈ શકતું નથી. આજે પણ કૃષિ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે, આ ક્ષેત્ર દેશના GDPમાં 18 ટકા ફાળો આપે છે અને લગભગ 46 ટકા વસ્તી કૃષિ પર નિર્ભર છે, એમ તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા અગિયાર વર્ષમાં દેશે નોંધપાત્ર પ્રગતિ કરી છે તેમ જણાવતા કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી કે ખાદ્યાન્ન ઉત્પાદનમાં લગભગ 44 ટકાનો વધારો થયો છે.

શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે ખેડૂતોની સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે તૈયાર કરાયેલ રોડમેપમાં પ્રતિ હેક્ટર ઉત્પાદન વધારવું, ઉત્પાદન ખર્ચ ઘટાડવો, ઉત્પાદન માટે વાજબી ભાવ, પાકના નુકસાનના કિસ્સામાં યોગ્ય વળતર, કૃષિનું વૈવિધ્યકરણ અને ખાતરોના મર્યાદિત ઉપયોગથી ભાવિ પેઢીઓ માટે પૃથ્વી અને માટીનું રક્ષણ કરવાનો સમાવેશ થાય છે. શ્રી ચૌહાણે કહ્યું, “આપણે દેશની પરિસ્થિતિ અનુસાર કૃષિ ક્ષેત્રમાં પ્રગતિનો માર્ગ નક્કી કરવાનો છે. ભારતના મોટાભાગના ખેડૂતો પાસે નાની જમીન છે. તેથી, નાનો ખેડૂત આપણી નીતિઓનું કેન્દ્ર છે”. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પીએમ શ્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે લીધેલા ત્રણ નિર્ણયો છે - i ) દેશની 144 કરોડ વસ્તી માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી, ii) ખેડૂતોની આવક વધારવી અને iii) બધા નાગરિકોને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવો. સંકલિત ખેતી માટે ફાર્મ મોડેલ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતો નાની જમીન હોવા છતાં પણ કેવી રીતે લાભ મેળવી શકે તે અંગે વિચાર-વિમર્શ થઈ રહ્યો છે, એમ કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું.
તાજેતરમાં આયોજિત 'વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન' વિશે બોલતા, શ્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ 'લેબ ટુ લેન્ડ' ને જોડવાનો પ્રયાસ હતો. જેથી વૈજ્ઞાનિક સંશોધનના લાભ ખેડૂતો સુધી પહોંચે. "એવું નક્કી કરવામાં આવ્યું છે કે સંવાદની આ પ્રક્રિયા ચાલુ રહેશે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) ના વૈજ્ઞાનિકો અઠવાડિયામાં ત્રણ દિવસ ખેતરમાં ખેડૂતોની મુલાકાત લેશે અને તેમને સંશોધન અને અન્ય જરૂરી માહિતી પૂરી પાડશે. તેમજ તેમની સાથે વાતચીત કરશે. દિલ્હીના કૃષિ ભવનમાં બેસીને કૃષિ નીતિ બનાવી શકાતી નથી", તેમણે ઉમેર્યું હતું.
વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ, વૈજ્ઞાનિકોની 2,170 ટીમોએ પાયાના સ્તરે જઈને ખેડૂતો સાથે વાતચીત કરી, તેમને ખેતી અને સંશોધનની વિવિધ પદ્ધતિઓ વિશે માહિતી આપી અને તેમની વ્યવહારુ સમસ્યાઓ પણ સાંભળી અને પછી આગળના સંશોધનોની દિશા નક્કી કરી છે. અભિયાન દરમિયાન ઘણા મહત્વપૂર્ણ અનુભવો અને નવીનતાઓ જોવા મળી, જેને ભવિષ્યની નીતિઓ અને સંશોધન નક્કી કરતી વખતે ચોક્કસપણે ધ્યાનમાં લેવામાં આવશે. અભિયાન દરમિયાન ઘણા ગંભીર મુદ્દાઓ પણ પ્રકાશમાં આવ્યા છે, જેમાંથી સૌથી ગંભીર મુદ્દાઓ ખેડૂતો માટે નબળી ગુણવત્તાવાળા જંતુનાશકો અને નબળી ગુણવત્તાવાળા બીજનો મુદ્દો છે, એમ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર હલકી ગુણવત્તાવાળા બીજ અને જંતુનાશકોનું ઉત્પાદન અને વેચાણ કરનારાઓ સામે આકરી કાર્યવાહી કરવા માટે કડક કાયદા બનાવવા જઈ રહી છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે TOP પાક (ટામેટા, ડુંગળી, બટાકા ) માટે નવી બજાર હસ્તક્ષેપ યોજના (MIS) પર પણ પ્રકાશ પાડ્યો હતો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જો બટાકા, ડુંગળી અને ટામેટાનું ઉત્પાદન કરતા ખેડૂતો બીજા રાજ્યમાં જાય છે, જ્યાં તેમને તેમના વિસ્તારની તુલનામાં તેમના ઉત્પાદન માટે વધુ ભાવ મળી રહ્યા છે, તો આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર પરિવહનનો સંચાલન ખર્ચ ઉઠાવશે. ખેડૂતોને નફાકારક ભાવ સુનિશ્ચિત કરવા અને બજારમાં ગ્રાહકો માટે TOP પાકના ભાવ ઘટાડવા માટે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સરકારોની વિનંતી પર MIS હાથ ધરવામાં આવે છે. ખેડૂતોને વાજબી ભાવ મળે અને ગ્રાહકોને વાજબી ભાવે ઉત્પાદનો મળે તે વચ્ચે સંતુલન હોવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે તે માટે તમામ પ્રયાસો કરી રહી છે. ખેડૂતો દ્વારા નોંધણી કરાવ્યા પછી, તુવેર, મસુર અને અડદ પણ ખરીદવામાં આવશે, એમ તેમણે માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે કઠોળ, તેલીબિયાં અને સોયાબીન પણ રેકોર્ડ સ્તરે ખરીદવામાં આવ્યા છે. સંગ્રહ વ્યવસ્થા માટે નાણાકીય સહાય પૂરી પાડવાના પણ પ્રયાસો કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું. સોયાબીન અને તેલીબિયાંનું ઉત્પાદન વધારવા માટે સંપૂર્ણ જોશથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, એમ કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું. શ્રી ચૌહાણે આ મહિને યોજાનારી કૃષિ ક્ષેત્ર પર મહત્વપૂર્ણ બેઠકો વિશે માહિતી આપી હતી. 24 જૂને, ભારતીય કૃષિ સંશોધન પરિષદ અને દેશભરની અન્ય સંસ્થાઓના વૈજ્ઞાનિકો સાથે વર્ચ્યુઅલી જોડાણ કરીને વ્યાપક મંથન કરવામાં આવશે, જ્યારે 26 જૂને ઇન્દોરમાં સોયાબીન ઉત્પાદન પર અને 27 જૂને ગુજરાતમાં કપાસ ઉત્પાદન પર બીજી બેઠક યોજાશે. વધુમાં, શેરડીની ખેતી માટે ઉત્તર પ્રદેશમાં એક ખાસ બેઠક યોજાશે. સમસ્યાઓ અનુસાર ઉકેલ શોધવા અને અસરકારક અમલીકરણ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોમાં મહારાષ્ટ્ર રાજ્ય સરકારના કૃષિ મંત્રી શ્રી માણિકરાવ કોકાટે, NCCFના ચેરમેન શ્રી વિશાલ સિંહ, IFFCOના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી, KRIBHCOના ચેરમેન શ્રી ચંદ્રપાલ સિંહ, NAFEDના ડિરેક્ટર શ્રી જેઠાભાઈ આહિર, ગુજરાત રાજ્ય સહકારી બેંકના ચેરમેન શ્રી અજય પટેલ અને NAFEDના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દીપક અગ્રવાલનો સમાવેશ થતો હતો.
કેન્દ્રીય મંત્રીએ NAFED દ્વારા સમર્થિત ત્રણ FPO ને ઇક્વિટી ગ્રાન્ટના ચેક પણ વિધિવત રીતે સોંપ્યા, NAFED ફ્રેન્ચાઇઝી મેળવવા બદલ 5 FPOને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું, 'NAFED સમર્થિત FPOની સફળતાની વાર્તાઓ' પર એક પુસ્તકનું વિમોચન કર્યું અને NAFED દ્વારા આયોજિત સ્પર્ધાના વિજેતાઓને ઇનામો આપ્યા હતા.



(Release ID: 2138173)