કૃષિ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, પૂસા ખાતે ચોથા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યા


શ્રી ચૌહાણે પૂસામાં નવનિર્મિત વિક્રમશિલા છાત્રાલય અને આંતરરાષ્ટ્રીય અતિથિ ગૃહનું ઉદ્ઘાટન કર્યું

“કૃષિ અને ઓર્ગેનિક ખેતીમાં નવીનતાને પ્રોત્સાહન આપો”: શિવરાજ સિંહ ચૌહાણ

“સમસ્તીપુર મિથિલાનું પ્રવેશદ્વાર છે”: કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ

“પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારું લક્ષ્ય છે”: શિવરાજ સિંહ ચૌહાણ

“છેલ્લા 11 વર્ષમાં કૃષિ ઉત્પાદનમાં 40%નો વધારો થયો છે”: શિવરાજ સિંહ ચૌહાણ

“ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી 'સંશોધનની માતા' છે”: શિવરાજ સિંહ ચૌહાણ

“કૃષિ મંત્રાલય શ્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં ખેડૂતોને ટેકનોલોજીની નજીક લાવી રહ્યું છે”: બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા

Posted On: 17 JUL 2025 6:52PM by PIB Ahmedabad

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે બિહારના પૂસામાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના ચોથા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. પ્રસંગે તેમણે નવનિર્મિત વિક્રમશિલા છાત્રાલય અને આર્યાવર્ત ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી ચૌહાણે બે મહત્વપૂર્ણ પુસ્તકો - પૂસા બિહાર: બર્થપ્લેસ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ એન્ડ એજ્યુકેશન, અને ટેક્સ્ટબુક ઓન નેચરલ ફાર્મિંગનું પણ વિમોચન કર્યું હતું.

શ્રી ચૌહાણે પોતાના સંબોધનમાં બિહારના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની પ્રશંસા કરી અને કહ્યું, “સમસ્તીપુર મિથિલાંચલનું પ્રવેશદ્વાર છે, જે રાજા જનક અને દેવી સીતાની પવિત્ર ભૂમિ છે, જે ભારતની મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત છે.” ભારત રત્ન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને કર્પૂરી ઠાકુરને યાદ કરીને, શ્રી ચૌહાણે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને કહ્યું હતું કે બિહાર પ્રતિભા અને પરિશ્રમની ભૂમિ છે, જેણે વિશ્વને બુદ્ધનો સંદેશ આપ્યો છે.

સ્નાતક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા શ્રી ચૌહાણે કહ્યું, "તમે અનંત ક્ષમતાના ભંડાર છો, જેમ સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું. સખત મહેનત કરો, ઉચ્ચ લક્ષ્ય રાખો અને કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે તમારા જ્ઞાનનો ઉપયોગ કરો. પૂસા યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત શિક્ષણ સાથે ભારતીય કૃષિને નવી ઊંચાઈઓ પર લઈ જાઓ."

તેમણે છેલ્લા 11 વર્ષમાં કૃષિ ઉત્પાદનમાં 40% નો વધારો, 80 કરોડ લોકોને મફત અનાજ અને 50000 કરોડ રૂપિયાના બાસમતી ચોખાની નિકાસ સહિતની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો. બિહારમાં મકાઈ, લીચી અને મખાના ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિની પ્રશંસા કરતા, તેમણે મખાના બોર્ડની રચના કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.

કૃષિને ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવતા તેમણે કહ્યું હતું કે, "ખેડૂતો ભારતીય અર્થતંત્રનો આત્મા છે, અને તેમની સેવા કરવી આપણું કર્તવ્ય છે. આપણે પ્રતિ હેક્ટર ઉપજ વધારવાની, નાના સાધનો દ્વારા યાંત્રિકીકરણને પ્રોત્સાહન આપવાની અને સ્ટાર્ટઅપ્સ દ્વારા આધુનિકીકરણને વેગ આપવાની જરૂર છે."

કુદરતી ખેતીના મહત્વ પર ભાર મૂકતા તેમણે કહ્યું હતું કે તે જમીનના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તેમણે તાજેતરમાં શરૂ કરાયેલ પ્રધાનમંત્રી ધન-ધાન્ય યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો જે હેઠળ કૃષિ ઉત્પાદન વધારવા માટે 100 જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે. તેમણે વિદ્યાર્થીઓને તેમના જ્ઞાન અને સંશોધનને વ્યવહારુ ઉકેલોમાં લાગુ કરવા અને ભારતની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં યોગદાન આપવા વિનંતી કરી હતી.

પોતાના સંબોધનનું સમાપન કરતાં, શ્રી ચૌહાણે યુનિવર્સિટીના યોગદાનની પ્રશંસા કરી અને કહ્યું, "ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કૃષિ યુનિવર્સિટી ભારતીય કૃષિના ભવિષ્યને ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. હું હંમેશા નવા વિચારો સાંભળવા આતુર છું." તેમણે તમામ ફેકલ્ટી સભ્યો, વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી સમુદાયને તેમની સિદ્ધિઓ બદલ અભિનંદન આપ્યા હતા.

ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, પૂસાની સ્થાપના 7 ઓક્ટોબર, 2016 ના રોજ થઈ હતી, જ્યારે તત્કાલીન રાજેન્દ્ર એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (બિહાર સરકાર દ્વારા 1970 માં સ્થાપિત) ને કેન્દ્રીય યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. આજે, તે કૃષિ ક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન આપતી અગ્રણી સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે.

દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી રામનાથ ઠાકુર; બિહારના નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી વિજય સિંહા; બિહારના માહિતી અને જનસંપર્ક મંત્રી મહેશ્વર હજારી; અને સમસ્તીપુરના સાંસદ શાંભવી પણ હાજર રહ્યા હતા.

AP/NP/GP/JD

 


(Release ID: 2145655)
Read this release in: English , Urdu , Hindi