માનવ સંસાધન વિકાસ મંત્રાલય
આઇઆઇટી ગાંધીનગર અને ઇથિઓપિયાના શિક્ષણ મંત્રાલય વચ્ચે બહુવિષયક આંતરરાષ્ટ્રીય પીએચડી કાર્યક્રમ માટે એમઓયુ પર હસ્તાક્ષર
Posted On:
05 AUG 2025 8:26PM by PIB Ahmedabad
ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (આઇઆઇટીજીએન) અને ઇથિઓપિયા સંઘીય લોકશાહી પ્રજાસત્તાકના શિક્ષણ મંત્રાલયે મળીને બહુવિષયક આંતરરાષ્ટ્રીય ગુણવત્તા સુધારણા ડોક્ટોરલ ડિગ્રી કાર્યક્રમ (Multidisciplinary International Quality Improvement Doctoral Degree Program – MIQMDDP) શરૂ કરવા માટે મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે. આ પહેલનો હેતુ સંયુક્ત ડોક્ટોરલ સંશોધન, શૈક્ષણિક વિનિમય અને સહ-માર્ગદર્શન દ્વારા ભારત અને ઇથિઓપિયા વચ્ચેના શૈક્ષણિક સહયોગને મજબૂત બનાવવાનો છે. આ કાર્યક્રમ ઇથિઓપિયન વિદ્વાનોને બંને સંસ્થાઓના માર્ગદર્શન અને સ્રોતોથી પીએચડી કરવાનો અનોખો અવસર પૂરો પાડશે.

આ એમઓયુ પર આઇઆઇટી ગાંધીનગર ખાતે આઇઆઇટીજીએનના નિર્દેશક પ્રોફેસર રજત મૂનાએ સત્તાવાર હસ્તાક્ષર કર્યા. કાર્યક્રમમાં આઇઆઇટીજીએનના વરિષ્ઠ ફેકલ્ટી અને પ્રશાસકો પણ હાજર રહ્યા, જેમાં પ્રોફેસર સુર્યપ્રતાપ મહેરોત્રા (ફેકલ્ટી ઇન-ચાર્જ, એક્સટર્નલ રિલેશન્સ), પ્રોફેસર નિથિન વી. જ્યોર્જ (ડીન, જનરલ એડમિનિસ્ટ્રેશન), પ્રોફેસર કબીર જસૂજા (ફેકલ્ટી ઇન-ચાર્જ, ઇન્ટરનેશનલ અફેર્સ), અને ડૉ. સોમનાથ મિત્રા (સીઇઓ, સેન્ટર ફોર રિસર્ચ કમર્શિયલાઇઝેશન)નો સમાવેશ થાય છે.

પ્રોફેસર કૃષ્ણરાજ રમાસ્વામી, સંયુક્ત પીએચડી કોઓર્ડિનેટર (શિક્ષણ મંત્રાલય, સંઘીય લોકશાહી પ્રજાસત્તાક, ઇથિઓપિયા) અને પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર, નવીનતા અને ટેકનોલોજી મંત્રાલય, સંઘીય લોકશાહી પ્રજાસત્તાક, ઇથિઓપિયા પણ ઉપસ્થિત રહ્યા.
આ અવસર પર આઇઆઇટીજીએનના નિર્દેશક પ્રોફેસર રજત મૂનાએ જણાવ્યું, "આ કાર્યક્રમ હેઠળ અમે ઇથિઓપિયન વિદ્વાનોનું હાર્દિક સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ અને સહકારાત્મક પ્રયત્નો દ્વારા બંને દેશોના શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની આશા રાખીએ છીએ."
પ્રોફેસર સુર્ય પ્રતાપ મહેરોત્રાએ જણાવ્યું, "આઇઆઇટીજીએન અને ઇથિઓપિયાના શિક્ષણ મંત્રાલય વચ્ચે હસ્તાક્ષર થયેલ એમઓયુ આફ્રિકા ખંડ સાથે જોડાવાનું દ્વાર છે અને આફ્રિકાની અન્ય યુનિવર્સિટીઓ સાથે સમાન સહકાર માટેના માર્ગો ખોલશે."
પ્રોફેસર કૃષ્ણરાજ રમાસ્વામીએ ઉમેર્યું, "આ ભાગીદારી ઇથિઓપિયા-ભારત શૈક્ષણિક સહકારના એક નવા અધ્યાયની શરૂઆત કરે છે. એમઆઈક્યુએમડીડિપી વિદ્વાનોને આંતરવિષયક માર્ગદર્શન, સંશોધન આધારીત માળખાં અને વૈશ્વિક અનુભવનો લાભ લેવા માટે એક પ્લેટફોર્મ પુરુ પાડશે."
આ કાર્યક્રમના ભાગરૂપે, આગામી પાંચ વર્ષ સુધી દર વર્ષે મહત્તમ 15 ઇથિઓપિયન પીએચડી વિદ્વાનોની પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને તેમના હોમ ઇન્સ્ટિટ્યૂટ (ઇથિઓપિયા) તથા આઇઆઇટીજીએનના ફેકલ્ટી દ્વારા સંયુક્ત માર્ગદર્શન આપવામાં આવશે. તેઓ 12 થી 18 મહિના સુધી આઇઆઇટી ગાંધીનગરમાં રહેશે અને આઇઆઇટીજીએનના નિયમો મુજબ તેમને સંસ્થાકીય ફેલોશિપ સપોર્ટ આપવામાં આવશે. ઇથિઓપિયાના શિક્ષણ મંત્રાલય દ્વારા વિદ્વાનોની આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે સહાય પૂરી પાડવામાં આવશે. આ એમઓયુ સંશોધન ક્ષમતા વિકસાવવા, શૈક્ષણિક વિનિમયને વધારવા અને વૈશ્વિક સ્તરે જોડાયેલા વિદ્વાન સમુદાયને પ્રોત્સાહિત કરવા માટેની સંયુક્ત દ્રષ્ટિનું પ્રતિબિંબ છે.
(Release ID: 2152777)