પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ચીનના તિયાનજિનમાં 25મા SCO સમિટમાં ભાગ લીધો

Posted On: 01 SEP 2025 11:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 દરમિયાન ચીનના તિયાનજિનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના રાષ્ટ્ર પ્રમુખોની પરિષદની 25મી બેઠકમાં ભાગ લીધો હતો. આ સમિટમાં SCO વિકાસ વ્યૂહરચના, વૈશ્વિક શાસનમાં સુધારા, આતંકવાદનો વિરોધ, શાંતિ અને સુરક્ષા, આર્થિક અને નાણાકીય સહયોગ તેમજ સ્થાયી વિકાસ પર ઉત્પાદક ચર્ચાઓ થઈ હતી.

સમિટને સંબોધતા પ્રધાનમંત્રીએ SCO માળખામાં સહયોગને મજબૂત બનાવવાના ભારતના વિઝન પર પ્રકાશ પાડ્યો હતો. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ભારત ત્રણ સ્તંભો - સુરક્ષા, જોડાણ અને તક હેઠળ વ્યાપક કાર્યવાહી ઇચ્છે છે. શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પ્રગતિ અને સમૃદ્ધિની ચાવી છે તે વાત પર ભાર મૂકતા, તેમણે સભ્ય દેશોને તેના તમામ સ્વરૂપોમાં આતંકવાદનો સામનો કરવા માટે મજબૂત અને નિર્ણાયક પગલાં લેવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ આતંકવાદી ભંડોળ અને કટ્ટરપંથીકરણ સામે સંકલિત કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પહેલગામ આતંકવાદી હુમલા પછી સભ્ય દેશોની મજબૂત એકતા બદલ આભાર માનતા, તેમણે ભાર મૂક્યો કે આતંકવાદ સામે લડવામાં કોઈ બેવડા ધોરણો ન હોવા જોઈએ. તેમણે જૂથને સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન અને સમર્થન આપતા દેશોને જવાબદાર ઠેરવવાનો આગ્રહ કર્યો હતો.

વિકાસને પ્રોત્સાહન આપવા અને વિશ્વાસ બનાવવા માટે કનેક્ટિવિટીની ભૂમિકા પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત ચાબહાર બંદર અને આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર જેવા પ્રોજેક્ટ્સને મજબૂત સમર્થન આપે છે. તેમણે સ્ટાર્ટ-અપ્સ, નવીનતા, યુવા સશક્તિકરણ અને સહિયારા વારસાના ક્ષેત્રોમાં તકો વિશે પણ વાત કરી જે SCO હેઠળ અનુસરવા જોઈએ. પ્રધાનમંત્રીએ જૂથમાં એક સભ્યતા સંવાદ પ્લેટફોર્મ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો જેથી લોકોથી લોકોના સંબંધો અને સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન મળે.

પ્રધાનમંત્રીએ જૂથના સુધારાલક્ષી કાર્યસૂચિને સમર્થન વ્યક્ત કર્યું હતું. આ સંદર્ભમાં તેમણે સંગઠિત ગુના, ડ્રગ હેરફેર અને સાયબર સુરક્ષા સામે લડવા માટે કેન્દ્રોની સ્થાપનાનું સ્વાગત કર્યું હતું. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સહિત બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારા માટે જૂથ દ્વારા સમાન અભિગમ અપનાવવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રીનું સંપૂર્ણ ભાષણ અહીં [લિંક] પર જોઈ શકાય છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ઉષ્માભર્યા આતિથ્ય બદલ આભાર માન્યો અને સમિટના સફળ આયોજન બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે SCOનું આગામી અધ્યક્ષપદ સંભાળવા બદલ કિર્ગિસ્તાનને પણ અભિનંદન આપ્યા હતા. સમિટના સમાપન પર SCO સભ્ય દેશોએ તિયાનજિન ઘોષણાપત્ર અપનાવ્યું હતું.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2162586) Visitor Counter : 2