ખાણ મંત્રાલય
ખાણકામ ક્ષેત્રમાં GST સુધારાથી હાઉસિંગ અને નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે
Posted On:
11 SEP 2025 12:30PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં યોજાયેલી GST કાઉન્સિલની 56મી બેઠકમાં વ્યક્તિગ, સામાન્ય માણસ, મહત્વાકાંક્ષી મધ્યમ વર્ગને રાહત આપવા અને GSTમાં વ્યવસાય કરવાની સરળતા સુધારવા માટેના પગલાં માટે GST કર દરોમાં ફેરફાર અંગે ભલામણો કરવામાં આવી હતી. ખાણકામ ક્ષેત્રને લગતી વસ્તુઓ માટે નવા GST દરો અને સ્લેબનો હાઉસિંગ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગો પર સકારાત્મક અસર પડશે.
નવા દરો હેઠળ, માર્બલ અને ટ્રાવર્ટાઈન બ્લોક્સ અને ગ્રેનાઈટ બ્લોક્સ પર હવે 5% GST દર લાગશે, જે પહેલા 12% હતા. GST દરોમાં આ ઘટાડાથી હાઉસિંગ ક્ષેત્રને ફાયદો થશે કારણ કે આ માર્બલ અને ગ્રેનાઈટનો ઉપયોગ હાઉસિંગ ઉદ્યોગમાં વ્યાપકપણે થાય છે. રાજસ્થાન, ગુજરાત અને કર્ણાટક જેવા રાજ્યોમાં ગ્રેનાઈટ અને માર્બલનું ખાણકામ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં, રેતી-ચૂનાની ઇંટો અથવા પથ્થરના જડતરના કામ પરના GST દરમાં ઘટાડો કરવાથી ઓછા ખર્ચે બનેલા આવાસોના બાંધકામના ખર્ચમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઘટાડો કરવામાં મદદ મળશે. આવી વસ્તુઓ પરના GST દર પણ 12% થી ઘટાડીને 5% કરવામાં આવી રહ્યા છે.
એલ્યુમિનિયમથી બનેલા દૂધના ડબ્બાં, તાંબાથી બનેલા ટેબલ, રસોડું અથવા અન્ય ઘરગથ્થુ સામાનની સાથે સાથે એલ્યુમિનિયમ પર પણ GST દર 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. જો કે એલ્યુમિનિયમ/તાંબાથી બનેલા વાસણો, દૂધના ડબ્બાં અને ઘરગથ્થુ સામાન રોજિંદા જરૂરિયાતની વસ્તુઓ હોવાથી, GST દરમાં ઘટાડો થવાથી છૂટક ભાવમાં ઘટાડો થવાને કારણે તેમની માંગમાં વધારો થશે. આનાથી પરિવારોને આવશ્યક વાસણો પર નાણાં બચાવવામાં અને પ્લાસ્ટિકને બદલે સ્વસ્થ અને વધુ ટકાઉ વિકલ્પોનો આનંદ માણવામાં મદદ મળશે. આવા વાસણોના ઉત્પાદનમાં રોકાયેલા MSMEsને આ ઉત્પાદનોની વધતી માંગ અને વ્યાપક બજારનો પણ લાભ મળશે.
આ ઉપરાંત પિત્તળના કેરોસીન પ્રેશર સ્ટવ પરનો GST દર 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. આ ઘટાડાથી ગ્રામીણ/ઓછી આવક ધરાવતા પરિવારોને મૂળભૂત રસોઈ ઉપકરણો સસ્તાં બનશે. જેનાથી બધા માટે ઊર્જાની પહોંચ સુનિશ્ચિત થશે.
પિત્તળ, તાંબુ/તાંબાના એલોય, નિકલ/ચાંદી અને એલ્યુમિનિયમ હસ્તકલા પરના GST દર પણ 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યા છે. આમાંની મોટાભાગની વસ્તુઓ કારીગરો અને નાના પાયે ઉદ્યોગો દ્વારા બનાવવામાં આવે છે, તેથી GST ઓછો કરવાથી તેમની સ્પર્ધાત્મકતામાં વધારો થશે અને આવા ઉત્પાદનો માટે ગ્રાહક આધાર વધશે. હસ્તકલાની વસ્તુઓ ભારતની ધરોહરનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી GSTમાં ઘટાડો ભારતીય સંસ્કૃતિ અને 'મેક ઇન ઇન્ડિયા'ને પ્રોત્સાહન આપવામાં પણ મદદ કરશે.
ખાણ મંત્રાલયની સેવાઓ પર GST દરો અંગેની ભલામણોના સંદર્ભમાં, ભારતમાં માલના મલ્ટિમોડલ પરિવહનના પુરવઠા પર GST દર 12% થી ઘટાડીને 5% (પ્રતિબંધિત ક્રેડિટ સાથે) કરવાથી ખાણકામ અને ખનિજ ઉદ્યોગને ફાયદો થશે, ખાસ કરીને આયર્ન ઓર જેમાં લાંબા અંતરની અવર-જવરનો સમાવેશ થાય છે.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2165594)
Visitor Counter : 2