સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
'સ્વસ્થ નારી સશક્ત પરિવાર' અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલીમાં આરોગ્ય શિબિરનું આયોજન
કિલવણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત શિબિરનો 6 ગામનાં 200થી વધુ લોકોએ લાભ લીધો
Posted On:
23 SEP 2025 2:27PM by PIB Ahmedabad
17 સપ્ટેમ્બર 2025ના રોજ શરૂ કરાયેલ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનમાં ભારતભરમાં ભારે ભાગીદારી જોવા મળી રહી છે. જેમાં લાખો મહિલાઓ, બાળકો અને પરિવારો વ્યાપક આરોગ્ય સેવાઓનો લાભ લઈ રહ્યા છે.
આ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલીના આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય સુધાર અને જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

કિલવણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવાનો છે. શિબિરમાં, નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા મહિલાઓને ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાનની કાળજી, કુટુંબ નિયોજન, પોષણ, સ્વચ્છતા અને વિવિધ રોગોથી બચાવ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, "જ્યારે ઘરની સ્ત્રી સ્વસ્થ હોય છે, ત્યારે આખો પરિવાર સ્વસ્થ રહે છે અને પરિવારના બાળકો પણ શિક્ષિત થઈ શકે છે. તેથી, આ અભિયાન માત્ર મહિલાઓના સ્વાસ્થ્યને જ નહીં, પરંતુ સમગ્ર પરિવારના ભવિષ્યને પણ સુધારવાનો પ્રયાસ છે."

શિબિરનાં લભાર્થીઓએ આ પહેલની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, આવી શિબિરથી તેમને ઘણી મદદ મળે છે અને તેમના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોના જવાબો સીધા ડોક્ટરો પાસેથી મેળવવાની તક મળે છે. આ અભિયાન દેશભરમાં તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે.

SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2170076)
Visitor Counter : 23