યુવા બાબતો અને રમત મંત્રાલય
સરદાર@150 : રાષ્ટ્રીય યુનિટી માર્ચનો પ્રચંડ જનમેદનીના અદમ્ય ઉત્સાહ વચ્ચે પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
‘સરદાર@150 : યુનિટી માર્ચ’ પદયાત્રા રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ પ્રશસ્ત કરશે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
કરમસદથી કેવડિયા સુધી 152 કિલોમીટર લાંબી પદયાત્રાના પ્રારંભે ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માનિક સાહા, કેન્દ્રીય મંત્રીઓ શ્રીમતી અનુપ્રિયા પટેલ અને શ્રીમતી નિમુબેન બાંભણિયાની વિશેષ ઉપસ્થિતિ
આ પદયાત્રા કોઈ સામાન્ય પદભ્રમણ નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતિક સમા લોહપુરુષ સરદાર પટેલને સમર્પિત વિશેષ આયોજન છે: ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માનિક સાહા
Posted On:
26 NOV 2025 5:50PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર સાહેબની 150મી જન્મજયંતી અવસરે ઉજવાઈ રહેલી કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા ‘સરદાર@150 : યુનિટી માર્ચ’ને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રીશ્રી માનિક સાહાએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
પ્રચંડ જનમેદનીના અદમ્ય ઉત્સાહ અને જય સરદારના ગગનભેદી ગુંજારવ સાથે આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે તા. 06 ડિસેમ્બરે પહોંચશે.
2KUB.jpeg)
150 કાયમી પદયાત્રીઓ સાથે આણંદ ઉપરાંત વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થનારી આ પદયાત્રાનો ભવ્ય પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ‘સરદાર@150: યુનિટી માર્ચ’ પદયાત્રા રાષ્ટ્રભક્તિનો રાજમાર્ગ પ્રશસ્ત કરશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આ પદયાત્રા સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સંવિધાન દિવસના અવસરે ડો. બાબાસાહેબ આંબેડકર અને સંવિધાન સભાના સૌ સદસ્યોને આદરપૂર્વક નમન કરીને જણાવ્યું હતું કે, વિશ્વ નેતા તથા એક ભારત, શ્રેષ્ઠ ભારતના પ્રેરણા સ્ત્રોત શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશભરમાં સરદાર સાહેબની 150મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે. આ ઉપક્રમે સરદાર સાહેબનું બાળપણ અને શાળા શિક્ષણ જ્યાં થયું હતું, તે પવિત્ર ભૂમિ કરમસદથી એકતાના પ્રતીક સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા સુધી યુનિટી માર્ચ યોજાઈ રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોહપુરુષ સરદાર સાહેબને આપેલી સાચી અંજલિ ગણાવતા કહ્યું કે, સરદાર સાહેબની આ અભૂતપૂર્વ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવના ઇતિહાસનું જીવંત પ્રતિક બની છે.
ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માનિક સાહાએ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહીને પોતાના પ્રેરક ઉદ્દબોધનમાં ‘સરદાર@150 : યુનિટી માર્ચ’ અંતર્ગત ત્રિપુરા રાજ્યમાં કરાયેલી ઊજવણી અને આયોજનની રૂપરેખા આપી હતી. આ પદયાત્રા કોઈ સામાન્ય પદભ્રમણ નથી, પરંતુ દેશની એકતા, અખંડતા અને રાષ્ટ્રીય સ્વાભિમાનના પ્રતીક સમા લોહપુરુષ સરદાર પટેલને સમર્પિત વિશેષ આયોજન છે, તેમ મક્કમપણે જણાવી તેમણે રાજ્યની જનતા અને ત્રિપુરાની તરફથી ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવ્યા હતા.

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સરદાર સાહેબના જીવન અને તેમના કાર્યોને જાણવા ઉપરાંત દેશને એક કરવા તેમણે કરેલા યત્નોને જન-જન સુધી પહોંચાડવાનો આ અવસર છે. ગુજરાતના બે પનોતા પુત્રો સરદાર પટેલ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વનાયક સાબિત થયા છે. તદુપરાંત તેમણે રાષ્ટ્રીય પદયાત્રાની રૂપરેખા પણ જણાવી હતી.
ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માએ બંધારણ દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સરદાર પટેલની 150મી જન્મજયંતિના ઉજવણી એ દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ભગવાન બિરસા મુંડા અને વંદે માતરમ્ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષની ઊજવણી એ સુભગ સમન્વય અને દેશ માટે ગૌરવની ક્ષણ છે, તેમ જણાવ્યું હતું.
આ પદયાત્રાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પાઠવવામાં આવેલા શુભકામના સંદેશનું જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી દ્વારા પઠન કરવામાં આવ્યું હતું.
મહાનુભાવોએ આ કાર્યક્રમ પૂર્વે સરદાર પટેલના નિવાસ સ્થાનની મુલાકાત લઈને ત્યાં સ્મરણાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત શાસ્ત્રી મેદાન ખાતે આયોજીત કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર પટેલના જીવન-કવનને દર્શાવતા ગીતનું રિમોટ કંટ્રોલથી લોન્ચ કર્યું હતું. આ ઉપરાંત ‘માય ભારત’ દ્વારા નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે યોજાયેલી એકતા પદયાત્રાની ટૂંકી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય નાણામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, આણંદ સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, રાષ્ટ્રીય મહાસચિવશ્રી સુનિલ બંસલ, જિલ્લા અગ્રણીશ્રી સંજયભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, આણંદ જિલ્લાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી વિપુલ પટેલ, નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજ દેસાઈ, કેન્દ્રીય યુવા અને રમતગમત સચિવ શ્રી પલ્લવી જૈન, જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, ખેડા જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, કરમસદ આણંદ મહાનરપાલિકા કમિશ્નરશ્રી મિલિંદ બાપના, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહાં સહિત દેશના તથા રાજ્યના અગ્રણી પદાધિકારીઓ તથા અધિકારીઓ, યુવાનો અને વિદ્યાર્થીઓ પણ રાષ્ટ્રીય એકતા પદયાત્રાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહીને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બન્યા હતા.
(Release ID: 2194817)
Visitor Counter : 14